વાંકલ : સુરત જિલ્લાના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ‘ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન યોજના’ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. માંગરોળ, ઉમરપાડા અને માંડવી તાલુકાના જનજાતિ વિસ્તારોમાં યોજનાના ભાગરૂપે 14 રૂટ પર નિઃશુલ્ક એસ.ટી. બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવાનો લાભ હાલમાં 929 વિદ્યાર્થીઓ શાળા-કોલેજે આવવા-જવા માટે લઈ રહ્યા છે.
અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓને ઘરથી શાળા-કોલેજ સુધી સુરક્ષિત અને સમયસર પરિવહન સુવિધા મળતા શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક અસર થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને કન્યા કેળવણીને વેગ મળવાની સાથે વિદ્યાર્થીઓનો શાળા છોડવાનો દર (ડ્રોપઆઉટ રેટ) ઘટાડવામાં પણ આ સેવા ઉપયોગી બની શકે છે.
આ યોજના હેઠળ બસોના સંચાલન પર નજર રાખવા માટે GPS મોનિટરિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત, વિદ્યાર્થીઓની વિગતો વેબ પોર્ટલ પર અપડેટ કરવાની પ્રક્રિયા પણ અમલમાં મૂકવામાં આવી છે.
અંતરિયાળ વિસ્તારોમાં પરિવહનની અછતને કારણે શિક્ષણથી વંચિત રહેતા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક બસ સેવા એક મહત્વપૂર્ણ સુવિધા બની છે. હવે આ સેવા નિયમિત અને અસરકારક રીતે ચાલુ રહે તે પણ એટલું જ જરૂરી છે, જેથી વધુમાં વધુ જનજાતિ વિદ્યાર્થીઓને તેનો લાભ મળી શકે.
