મિશન સાહસી કાર્યક્રમ હેઠળ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 8 દિવસમાં ભરૂચની કોલેજો તેમજ વિવિધ શાળાઓની 5500 વિદ્યાર્થીઓને સ્વરક્ષણની તાલીમ અપાઈ હતી. જેનું સોમવારે રાજયકક્ષના મંત્રી ઇશ્વરસિંહ પટેલ, ભાજપ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, એ.બી.વી.પી. ના પ્રદેશ સંગઠન મંત્રી અશ્વિની શર્મા, ફિલ્મ અભિનેતા ચેતન ધનાની, પાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાળા સહિતની ઉપસ્થિતિમાં નિદર્શન કરાયું હતું. તાલીમ મેળવેલી 5500 છાત્રાઓ પૈકી 2000 જેટલી યુવતીઓએ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર 2 કલાક સુધી સ્વરક્ષણના વિવિધ દાવપેચ બતાવી અન્ય છાત્રાઓ સહિત ઉપસ્થિતઓને મંત્રમુગ્ધ કરવા સાથે તેઓમાં પણ સેલ્ફ ડિફેન્સના પાઠ શીખવાનો ક્રેઝ ઉભો કર્યો હતો. યુવતીઓએ દાંતથી 1900 કિલોની કારને ખેંચવી, ઝુડો, કરાટે સહિતના દાવપેચ રજૂ કરી આજના સાંપ્રાંત સમયમાં યુવતીઓ માટે સ્વરક્ષણ કેટલું આવશ્યક હોવાનો ચિતાર શક્તિ પ્રદર્શન થકી ઉજાગર કર્યો હતો.

