બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે રહેતા કિશન કાલિદાસ વસાવા નાઓએ તેઓના ગામમાં રહેતા વિરલ નવીનભાઈ વસાવા નાઓ સાથે પોતાની પત્ની સાથે આડા સબંધના વહેમમાં ઝઘડો કર્યો હતો, બંને વચ્ચે ચાલી રહેલ ઝઘડામાં વચ્ચે પડેલ વિરલના પિતા નવીનભાઈ વસાવા નાઓને કિશને લાકડાના પાટિયાનાં સપાટા મારતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
નવીનભાઈ નરસિંહભાઈ વસાવાને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓનું મોત નીપજ્યું હતું, ઘટના અંગેની જાણ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ ૪૫ વર્ષીય નવીનભાઈ વસાવાની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર ઘટનામાં કિશન વસાવા સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે.
ઉમરવાડા ગામમાં અચાનક બનેલ પ્રથમ મારામારીની ઘટના હત્યા સુધી પહોંચી હતી, તો સાથે જ સમગ્ર ઘટનાક્રમને લઇ ગ્રામજનોમાં પણ ખળભળાટ મચ્યો હતો.