પાલનપુર-ડીસા હાઇવે પર ચડોતર નજીક ગતરોજ મોડી સાંજે લૂંટની ઘટના બની હતી. અમદાવાદના જ્વેલર્સની સોનુ ભરેલી કારને આતંરી કેટલાક બુકાનીધારી ઇસમો પેઢીના કર્મચારીઓ પાસેથી સોનુ ભરેલી 3 પૈકી 2 બેગ અને મોબાઇલ ફોન છીનવીને ફરાર થયા હતા. બેગમાં 10 કિલો સોનુ જોવાની માહિતી છે. આ મામલે બનાસકાંઠા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના ઋષભ જ્વેલર્સ પેઢીના કર્મચારીઓ સોનુ આપવા અમદાવાદથી ડીસા ગયા હતા અને જ્યારે પરત અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે પાલનપુર-ડીસા હાઇવે પર ચડોતર નજીક અન્ય કારમાં આવેલા 3 બુકાનીધારીઓએ કર્મચારીઓની કારને આંતરીને રોકાવી હતી. ત્યારબાદ કર્મચારીઓ પાસેથી સોનુ ભરેલી 3 પૈકી 2 બેગ અને તેમના મોબાઇલ ફોન છીનવીને ફરાર થયા હતા.
આ બનાવ અંગે કર્મચારીઓ પોલીસને જાણ કરતા બનાસકાંઠા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. અહેવાલ મુજબ, ચોરાયેલી બે બેગમાં અંદાજે 10 કિલો સોનુ હતું, જેની કિંમત અંદાજે 6 કરોડ જેટલી થયા છે. પોલીસે જણાવ્યું કે, આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ઠેર-ઠેર નાકાબંધી કરવામાં આવી રહી છે. આરોપીઓને પકડવા માટે સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. માહિતી મુજબ, કરોડોની લૂંટને પગલે જિલ્લા પોલીસ વિભાગમાં દોડધામ મચી છે.