ભરૂચ.
ભરૂચ શહેરના નંદેલાવ રોડ પર આવેલાં જવાહરનગર ખાતે રહેતાં બાબુ દોલતસિંહ વાઘેલા વિડિયોકોન કંપનીમાં 30 વર્ષથ ડે. મેનેજર તરીકે ફરજ બજાવે છે.તેમની વિડીયોકોન કંપની 2018થી બંધ હાલતમાં (એનસીએલટી)માં છે. તેમની બંધ કંપનીનો સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ ગત 1 જૂલાઇ 2025થી બ્લ્યુ સ્ટેલ્થ સિક્યુરીટી સર્વિસને આપવામાં આવ્યો છે. તેમની કંપનીમાં ઘણો સામાન સ્ટોરરૂમમાં મુકવામાં આવ્યો છે. જેની બે-ત્રણ દિવસે ચકાસણી થયાં કરે છે. તેમની સ્ટોરમાં તેની પેટા કંપની ટેકનો કાર્ટ ઇન્ડિયાનો પણ એસી, વોસિંગ મશીન, એલઇડી ટીવી સહિતનો સ્ટોક પણ મુકવામાં આવે છે. દરમિયાનમાં ગત 12મી જાન્યુઆરીએ બપોરના સમયે સ્ટોર ઇન્ચાર્જ નરેશ ભાલાળાએ તેમને જણાવ્યું હતું કે, તેમના સ્ટોરને મારેલું તાળું તુટેલું હતું. જેથી તેમણે સ્ટોરમાં જઇ જોતાં તેમની પેટા કંપની ટેકનો કાર્ટ ઇન્ડિયાએ મુકેલાં ઇલેક્ટ્રોનિક સામાન પૈકી 105 એલઇડી ટીવીમાંથી 10 ટીવી સ્ટોકમાં ઓછા જણાયાં હતાં. જેથી તેમણે તેમના લેવલે તપાસ કરવા છતાં તસ્કરોના સગડ નહીં મળતાં આખરે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
