ભોલાવ વિસ્તારમાં ગટર અને માર્ગની સમસ્યાઓમાં નોંધપાત્ર સુધારો થવાની આશા
ભરૂચ
ભરૂચ જિલ્લાના ભોલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં વિકાસ કાર્યોને વધુ વેગ આપવા માટે રૂપિયા 95 લાખના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના માહોલ વચ્ચે વિસ્તારમાં આધારભૂત સુવિધાઓ મજબૂત બનાવવા દિશામાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ કાર્યક્રમ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ, ભોલાવ પંચાયતના સભ્યો તથા મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન નારાયણ કુંજ અને નંદનવન સોસાયટી વચ્ચે રૂપિયા 25 લાખના ખર્ચે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન તથા રૂપિયા 40 લાખના ખર્ચે માર્ગ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ ભોલાવ પંચાયતથી પાર્થનગર સુધી રૂપિયા 30 લાખના ખર્ચે પૂર્ણ થયેલી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વિકાસ કાર્યો પૂર્ણ થતાં ભોલાવ વિસ્તારમાં ગટર અને માર્ગની સમસ્યાઓમાં નોંધપાત્ર સુધારો થશે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
Advertisement
