કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા ભરૂચ શહેરમાં પહોંચતા જ શહેરમાં રાજકીય ચહલપહલ વધી ગઈ હતી. ભરૂચ શહેરના સ્ટેશન સર્કલથી જંબુસર બાયપાસ તરફ નીકળેલી જનઆક્રોશ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો, આગેવાનો તથા સમર્થકો જોડાયા હતા. હાથમાં ઝંડા, બેનરો અને સૂત્રોચ્ચાર સાથે કાર્યકરો સરકાર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની રાહબરી હેઠળ યોજાયેલાં જનઆક્રોશ યાત્રામાં કાર્યકરોની બાઇક રેલી પણ યોજાઇ હતી. જેમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, ભરૂચ શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પૂર્વ જિલ્લા પ્રમુખ પરીમલસિંહ રણા, ભરૂચ નગરપાલિકા વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ, કોર્પોરેટર હેમેન્દ્ર કોઠીવાલા સહિતના કાર્યકરો રેલીમાં જોડાયાં હતાં.
જનઆક્રોશ યાત્રાના સ્વાગત માટે કોંગ્રેસના આગેવાન સફીભાઈ શેખે વિશેષ આયોજન કર્યું હતું. તેમના નેતૃત્વમાં કાર્યકરો દ્વારા યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહંમદપુરા સર્કલ ખાતે લાલાભાઈ ટ્રાન્સપોર્ટના સંચાલકો દ્વારા પણ રેલીનું ફૂલહાર અને નારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું, જેના કારણે રેલીનો માહોલ વધુ ઉત્સાહભર્યો બન્યો હતો.
શહેરના સંતોષી વસાહત વિસ્તારમાં યુવાધન દ્વારા જનઆક્રોશ યાત્રાને આવકારવામાં આવી હતી. યુવાનોમાં જોવા મળેલા ઉત્સાહ અને જોમભર્યાં દ્રશ્યોએ રેલીને વિશેષ ઊર્જા આપી હતી. રસ્તાની બન્ને બાજુ ઊભેલા લોકોએ રેલીને નિહાળી અને અનેક સ્થળોએ સમર્થન વ્યક્ત કર્યું હતું.
જનઆક્રોશ યાત્રા દરમિયાન શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર રેલી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. શહેરમાં જનઆક્રોશ યાત્રા રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની રહી હતી અને આવનારા દિવસોમાં તેના પ્રભાવને લઈને ચર્ચાઓ તેજ બની છે.
