અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી વન ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળાની આચાર્યા કિરણબેનના જણાવ્યા અનુસાર બાળકોને પ્રકૃતિ સાથે જોડવા અને પુસ્તકી જ્ઞાન સાથે પ્રાયોગિક જાણકારી આપવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. ગામ નજીક આવેલ રેવાણય વન વિસ્તારમાં વિદ્યાર્થીઓને લઈ જઈ વિવિધ જીવન ઉપયોગી વનસ્પતિઓની ઓળખ કરાવવામાં આવી તેમજ તેના ઔષધીય અને દૈનિક જીવનમાં થતા ઉપયોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી.
કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રકૃતિની ગોદમાં આનંદ સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. અંતે સર્વે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ આચાર્યા અને શિક્ષકગણ સાથે મળીને વન ભોજનની મજા માણી હતી.
આ પ્રસંગે જુના બોરભાઠા બેટ ગામના સરપંચ પંકજ પટેલ, ગામના અગ્રણીઓ, શાળાના આચાર્ય-શિક્ષકગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
