ભરૂચ શહેરમાં 85 વર્ષીય સ્વ. ભુપેન્દ્રભાઈ વનકેશ્વર પટેલના નિધન બાદ તેમના પરિવારજનો દ્વારા દેહદાન કરવાનો સંવેદનશીલ અને પ્રેરણાદાયી નિર્ણય લેવામાં આવ્યો છે. સ્વર્ગસ્થ ભુપેન્દ્રભાઈની અંતિમ ઈચ્છા અનુસાર માનવસેવાના ઉદ્દેશ્યથી આ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું.
દેહદાનની સમગ્ર પ્રક્રિયા ભરૂચની સંકલ્પ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. પરિવારજનો દ્વારા સંસ્થાના સ્થાપક સંજય તલાટીનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેના અનુસંધાને જરૂરી કાનૂની અને તબીબી કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવામાં આવી.
પરિવારજનોની હાજરીમાં સ્વ. ભુપેન્દ્રભાઈનો મૃતદેહ સન્માનપૂર્વક ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવ્યો. કોલેજના જનરલ મેનેજર હેતલ રાવે દેહદાન સ્વીકાર્યું હતું. આ દેહ મેડિકલ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ઉપયોગમાં લેવાશે.
સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધીમાં 1229 ચક્ષુદાન અને 22 દેહદાન જેવી સેવાકીય પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવી છે. સંસ્થા માનવસેવાના આવા કાર્યોમાં સતત સક્રિય રહી સમાજમાં જાગૃતિ ફેલાવી રહી છે.
દેહદાન જેવી સેવા મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓને માનવ શરીર રચનાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની અમૂલ્ય તક આપે છે, જે ભવિષ્યમાં કુશળ અને સંવેદનશીલ ડોકટરો તૈયાર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.
