ભરૂચ જિલ્લામાં સેવાશ્રમ હોસ્પિટલ રોડ પાસે વર્ષોથી રોજીરોટી ચલાવતા શાકભાજી અને ફળના નાના લારીધારકોને હટાવવામાં આવતા મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
પાર્ટીના પ્રતિનિધિઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે નગરપાલિકા વિસ્તારમાં સેવાશ્રમ હોસ્પિટલ રોડ પાસે ઘણા વર્ષોથી નાના વેપારીઓ લારીધંધા દ્વારા પોતાની આજીવિકા ચલાવી રહ્યા હતા. અચાનક ગેરકાયદેસર હોવાનો કારણ દર્શાવી તેમને સ્થળ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ તમામ લારીધારકો દૈનિક કમાણી પર નિર્ભર ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના સભ્યો છે, અને તેમની રોજગારનું એકમાત્ર સાધન લારીધંધો જ છે.
તા. 02 જાન્યુઆરીના રોજ લારીધારકો દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં યોગ્ય અને કાનૂની વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જોકે, આજદિન સુધી કોઈ વ્યવહારુ અને સંતોષકારક નિર્ણય લેવામાં આવ્યો નથી, તેવી રજૂઆત પાર્ટીએ કરી છે.
આમ આદમી પાર્ટીએ માંગ કરી છે કે લારીધારકોને તાત્કાલિક વૈકલ્પિક કાનૂની જગ્યા ફાળવવામાં આવે તેમજ સત્તાવાર વેન્ડિંગ ઝોન જાહેર કરી નિયમબદ્ધ વ્યવસ્થા ઉભી કરવામાં આવે. માંગણીઓ ન સંતોષાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
