આગામી સમયમાં સંગઠનની કાર્યક્ષમતા વધારવાના ઉદ્દેશ સાથે આ નિમણૂકો કરાઇ
ભરૂચ
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે. જાહેર થયેલી યાદી મુજબ જિલ્લામાં કુલ 48 હોદ્દેદારોને વિવિધ પદો પર નિયુક્ત કરવામાં આવ્યા છે. પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આગામી સમયમાં કાર્યક્ષમતા વધારવાના ઉદ્દેશ સાથે આ નિમણૂકો કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
નવી ટીમમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રીઓની વરણી કરવામાં આવી છે. ઉપરાંત ભાજપના વિવિધ મોરચાઓના પ્રમુખોની પણ જાહેરાત કરવામાં આવી છે, જેથી જિલ્લાભરમાં સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વધુ ગતિ મળી શકે. મહામંત્રી તરીકે ભરૂચ શહેર સંગઠનના જીગ્નેશ મિસ્ત્રી, અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગામના પરેશ પટેલ અને વાગરા વિસ્તારના નરેન્દ્રસિંહ પરમારને જવાબદારી સોંપવામાં આવી છે. નવા હોદ્દેદારોને જિલ્લામાં પક્ષની કામગીરી મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. જિલ્લા સંગઠનની નવી ટીમ જાહેર થતાં કાર્યકરોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. કેટલાક કાર્યકરોમાં ઉત્સાહ અને ખુશી જોવા મળી હતી, જ્યારે કેટલાક વર્તુળોમાં અસંતોષની લાગણી પણ સામે આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના પદ અંગે બદલાવની અટકળો રાજકીય વર્તુળોમાં ચાલી રહી હતી. સાથે સાથે એવી ચર્ચા પણ ચાલી રહી છે કે નવી ટીમમાં પ્રમુખ પ્રકાશ મોદીના નજીક ગણાતા આગેવાનોને મહત્વ આપવામાં આવ્યું છે.
