“યુવા ફોર નેચર” અભિયાન અંતર્ગત પર્યાવરણ સંરક્ષણનો સંદેશ, કાર્યકરો અને નાગરિકોમાં ઉત્સાહ
ભરૂચ :
વિશ્વ ચકલી દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા “યુવા ફોર નેચર” અભિયાન હેઠળ પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉનાળાની તીવ્ર ગરમીમાં નિર્દોષ પક્ષીઓને પાણીની અછત ન પડે તે હેતુથી આ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન શહેર અને જિલ્લામાં વિવિધ સ્થળોએ પાણીના કુંડાઓનું વિતરણ કરી લોકોને પોતાના ઘરો, ગેલેરીઓ તથા જાહેર સ્થળોએ પાણી ભરેલા વાસણો મુકવા પ્રેરણા આપવામાં આવી હતી. આ પહેલ દ્વારા પક્ષીઓના સંરક્ષણ સાથે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ભાજપ ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા મહામંત્રી પરેશ પટેલ તેમજ ભાજપ યુવા મોરચા પ્રમુખ શક્તિસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત યુવા મોરચાના મહામંત્રીઓ હેમદીપસિંહ પટેલ અને પ્રગ્નેશ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો, હોદ્દેદારો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
નેતાઓએ જણાવ્યું હતું કે નાનું લાગતું આ કાર્ય પણ પ્રકૃતિ માટે અત્યંત મહત્વનું છે. આવી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં પર્યાવરણ પ્રત્યે સંવેદના વધે છે અને લોકો જીવજંતુઓના સંરક્ષણ માટે પ્રેરાય છે. આ કાર્યક્રમના અંતે સૌએ સંકલ્પ લીધો હતો કે ઉનાળાના દિવસોમાં નિયમિત રીતે પક્ષીઓ માટે પાણી અને દાણા ઉપલબ્ધ કરાવી પ્રકૃતિના સંરક્ષણમાં પોતાનો ફાળો આપશે.
