અંકલેશ્વર: ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો સામે ચાલી રહેલી ખાસ ઝુંબેશ દરમિયાન એસઓજી (SOG) ભરૂચે એક મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. ગુજરાત પોલીસ ના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર ખાતે હથિયાર સાથે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડને ઝડપી પાડવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, એસઓજી ભરૂચ ને બાતમી મળી હતી કે અંકલેશ્વર સ્થિત કેનારા બેંક ખાતે ફરજ બજાવતો એક ગાર્ડ ગેરરીતે હથિયાર સાથે નોકરી કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન હરપાલસિંહ પટુસિંહ રાજાવત (ઉ.વ. 55) નામનો આરોપી 12 બોરની સિંગલ બેરલ બંદૂક અને 10 જીવતા કારતૂસ સાથે ઝડપાયો હતો. આરોપી પાસે પંજાબ રાજ્યનો હથિયાર પરવાનો હોવા છતાં, તેણે ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી તેમજ સ્થાનિક પોલીસમાં તેની નોંધણી કરાવી નહોતી.
આથી પોલીસે આરોપી સામે Arms Act 1959 ની કલમ 20 અને 30 હેઠળ અંકલેશ્વર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.
પોલીસે આરોપી પાસેથી અંદાજિત ₹26,000 કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં 12 બોર બંદૂક અને જીવતા કારતૂસનો સમાવેશ થાય છે.
આ સમગ્ર કામગીરી પો.ઇન્સ. એ.વી. પાણમિયા તથા તેમની ટીમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો સામે આવી જ સખત કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.
