ભરૂચ શહેરના વોર્ડ નંબર 8માં આવેલ રોયલ કોમ્પલેક્ષમાં થયેલા તોડકામને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. રજની ગંદા એપાર્ટમેન્ટ બ્લોક-એના આ કોમ્પલેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો તોડી પાડવામાં આવતા દુકાનદારોમાં ભારે રોષ ફેલાયો છે.
માહિતી મુજબ, કોમ્પલેક્ષનો ઉપરનો ભાગ જર્જરિત હાલતમાં હોવાને કારણે નગરપાલિકા દ્વારા તે ભાગ ઉતારવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જોકે દુકાનદારોનો આક્ષેપ છે કે આ આદેશ માત્ર ઉપરના જર્જરિત ભાગ પૂરતો જ મર્યાદિત હતો, છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પૂર્વ નોટિસ આપ્યા વગર ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કોમર્શિયલ દુકાનોને પણ તોડી પાડવામાં આવી છે.
દુકાનદારોના જણાવ્યા મુજબ, રજાના દિવસનો લાભ લઈ તોડકામ કરવામાં આવ્યું હતું, જેના કારણે તેઓ પોતાની મિલકત બચાવી શક્યા નહોતા. આ અચાનક કાર્યવાહીથી વેપારીઓને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.
આ સમગ્ર મામલે દુકાનદારો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ન્યાયની માંગ કરવામાં આવી છે. તેમની મુખ્ય માંગ છે કે જર્જરિત ઉપરનો ભાગ જ દૂર કરવામાં આવે અને દુકાનોને થયેલા નુકસાનની યોગ્ય ભરપાઈ કરવામાં આવે. સાથે જ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે.
