ભરૂચ.
ભરૂચ શહેરના ઐતિહાસિક ભીડ ભંજન મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે ગુરુવારે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિવસભર ધાર્મિક કાર્યક્રમો સાથે ભક્તિભાવનો માહોલ છવાઈ ગયો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી ધર્મલાભ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆત સવારે 7 વાગ્યે આરતીથી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 9 વાગ્યે જયેશભાઈ પંચોલી દ્વારા ભાવભીનાં સ્વરે સુંદરકાંડ પાઠ કરવામાં આવ્યો હતો, જેમાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા.સાંજે આરતી બાદ મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભક્તોએ મહાપ્રસાદનો આનંદ લીધો હતો.
આ પ્રસંગે સાંજે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતી કલાકાર શ્વેતાબેન સોલંકી તથા આર.જે. હર્ષ (એક્ટર, કલર્સ રસોઈ શો) ઉપસ્થિત રહી ભક્તિ અને મનોરંજનનો સંગમ સર્જ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રમેશભાઈ વેનીલાલ મોદી તથા તેમનો પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. સમગ્ર આયોજન ભીડ ભંજન યુવક મંડળ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું.
આ સમગ્ર ઉજવણી દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું અને ભક્તોએ શ્રદ્ધાપૂર્વક હનુમાનજી દાદાના દર્શન કરી ધર્મલાભ લીધો હતો.
