ભરૂચ જિલ્લામાં ખ્રિસ્તી સમુદાય દ્વારા શુક્રવારે ગુડ ફ્રાયડેનો તહેવાર શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો. આ અવસરે શહેર તેમજ જિલ્લાના વિવિધ ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી અનુયાયીઓ જોડાયા હતા.
ગુડ ફ્રાયડેના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવજાતના પાપોના નિવારણ માટે આપેલા બલિદાનને યાદ કરવામાં આવે છે. આ દિવસે ઈસુ ખ્રિસ્તને ક્રુસ પર ચઢાવી યાતનાઓ આપવામાં આવી હતી, જેના સ્મરણરૂપે વિશ્વાસીઓ ઉપવાસ રાખી પ્રાર્થના અને ભક્તિમાં લીન રહે છે.
ભરૂચ શહેરમાં આવેલ એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચ, બંબાખાના સ્થિત CNI ચર્ચ તેમજ કેથલિક ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાઓ યોજાઈ હતી. આ સભાઓ દરમિયાન ભક્તિગીતો, બાઈબલના વચનો અને પ્રાર્થનાઓ દ્વારા ઈસુ ખ્રિસ્તના બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે એબેન એઝર મેથોડિસ્ટ ચર્ચના પાળક રેવ. જગદીશ ખ્રિસ્તીએ ઉપસ્થિત શ્રદ્ધાળુઓને સંબોધન કર્યું હતું. તેમણે ઈસુના બલિદાનનો સંદેશ આપતાં માનવતા, પ્રેમ અને ક્ષમાના મૂલ્યો અપનાવવા પર ભાર મૂક્યો હતો. સાથે જ દેશ, વિશ્વ અને ભરૂચ શહેરની સુખ-શાંતિ માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.
આમ, ભરૂચ જિલ્લામાં ગુડ ફ્રાયડેનો તહેવાર શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક માહોલ વચ્ચે ઉજવાયો હતો.
