ભરૂચના દશાશ્વમેઘ ઘાટના બાવળિયા અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો : સ્થાનિકો પરેશાન
દાંડિયાબજાર મચ્છી માર્કેટમાંથી નિકળતા કચરાના ભરેલાં ફેંકાતા અસહ્ય દુર્ગંધ
। ભરૂચ ।
ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પર જવાના રસ્તાની આસપાસના બાવળિયાઓમાં ખરાબ પ્રવૃત્તિઓ થતી હોવાના આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યા છે. ઉપરાંત દાંડિયાબજાર મચ્છી માર્કેટમાંથી નિકળતાં કચરાના ઘેલાં ભરીને નદી કિનારે જવાના રોડ પર ફેંકવામાં આવતાં હોવાથી ત્યાંથી આવવા-જવાનું પણ મુશ્કેલ બન્યું છે.ત્યારે તંત્ર દ્વારા તાકીદે એક્શનમાં આવી જરૂરી પગલાં ભરે તેમજ અન્ય ઘાટની જેમ આ ઘાટને પણ વિકસાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ભરૂચ શહેરના દાંડિયાબજાર વિસ્તારમાં આવેલો દશાશ્વમેઘ ઘાટ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. ત્યારે અહીં આવેલાં સ્મશાન ઘાટ ખાતે શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી સ્વજનો તેમના દિવંગતોના અંતિમ સંસ્કાર કરે છે. સાથે સાથે ત્યાંથી નર્મદા નદી કિનારે જઈ ત્યાં સ્નાન કરતાં હોય છે. ત્યારે સ્મશાન ઘાટથી નર્મદા નદી કિનારે જવાના રોડ પર આવેલા લકકડિયા બીજ પર તેમજ આખા માર્ગ પર લોકો દ્વારા ગંદકી ફેલાવવામાં આવી રહી છે. દાંડિયા બજાર મચ્છી માર્કેટમાંથી નિકળતો કચરો થેલાઓમાં ભરી ભરીને આ રોડ પર ફેંકી દેવામાં આવતો હોવાથી આ માર્ગ પરથી પસાર થતી વેળાં અસહ્ય દુર્ગંધ વેઠવાનો વારો આવે છે. ઉપરાંત નર્મદા નદી કિનારે આ રસ્તાની બન્ને તરફ બાવળિયાઓ ઉગી નિકળ્યાં છે. ત્યારે ૮થી ૧૦ ફૂટ ઉંચા બાવળિયાની ઝાડીઓ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. બાવળિયાની ઝાડીઓમાં સ્ત્રી-પુરુષો જતાં હોય કે બહાર નિકળતાં હોય તેવા દ્રશ્યો સામાન્ય બન્યાં છે. ત્યારે દશાશ્વમેઘ ઘાટની પવિત્ર ધરતી પર થઈ રહેલા દુષણથી સ્થાનિકોની આસ્થા દુભાઈ રહી છે. બીજી તરફ નદી કિનારે ઉગી નિકળેલાં બાવળિયાઓમાં સરિસૃપો ઘર કરતાં હોઈ આ માર્ગ પરથી આવતા-જતાં સરિસૃપોના કારણે લોકોને હાની થાય તેવી ભિતી પણ સેવાઈરહી છે.
સામાજિક આગેવાન ચંદુભાઈ ધનજીભાઈ રોજાહરાએ જણાવ્યું હતું કે, દશાશ્વમેથ ઘાટને લઈને તેમણે કલેક્ટર કચેરીમાં અનેક રજૂઆતો કરી છે. સાથે સાથે નગરપાલિકા, વન વિભાગ સહિતની ઓફીસોમાં પણ રજૂઆતો કરી છે. જોકે, હજી સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. સરકાર દ્વારા રાજય અને દેશના અનેક થાટોને વિકસાવી ધાર્મિક લોકો માટે સારું આયોજન કર્યું છે. ત્યારે ઐતિહાસિક એવા દશાશ્વમેઘ ઘાટનો પણ સારો વિકાસ કરવામાં આવે તો શહેર-જિલ્લાની જનતાને તેનો લાભ થાય તેમ છે.
