ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ હુકમ જાહેર
ભરૂચ :
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા તા. 01/04/2026ના જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી એપ્રિલ-2026 માટે યોજાનાર છે. તે મુજબ ભરૂચ જિલ્લામાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો માટે મતદાન તા. 26/04/2026ના રોજ અને મતગણતરી તા. 28/04/2026ના રોજ યોજાશે.
આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ જયસ્વાલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 163 હેઠળ સત્તાનો ઉપયોગ કરીને તા. 30/04/2026ના રાત્રે 12:00 વાગ્યા સુધી પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા છે.
આ હુકમ મુજબ જિલ્લામાં કોઈપણ પ્રકારના કાયદા ભંગ થાય નહીં અને જાહેર શાંતિ જળવાઈ રહે તે માટે ઉશ્કેરણીજનક ભાષણો, ચાળા પાડવા, નકલો, ચિત્રો, નિશાનીઓ, જાહેરખબરો અથવા આવા પદાર્થો તૈયાર કરવાનું, પ્રદર્શિત કરવાનું અથવા તેનો પ્રસાર કરવાનો કડક પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આવા કૃત્યો રાજ્યની સલામતી માટે જોખમરૂપ ગણાશે.
આ પ્રતિબંધો ભરૂચ જિલ્લાના તમામ ચૂંટણી વિસ્તારોમાં લાગુ પડશે.
હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ કલમ 223 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે ફરિયાદ નોંધાવવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલથી નીચા દરજ્જાના ન હોય તેવા પોલીસ કર્મચારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.
આ માહિતી ઇન્ચાર્જ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભરૂચ દ્વારા જાહેર કરાયેલા અખબારી યાદીમાં જણાવવામાં આવી છે.
