જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સૌથી મોટો સોદાગર છે. માઈનોરિટી સાથે ગદ્દારી કરી છે : કુતબુદ્દીન ટેલર
કુતબુદ્દીન ટેલર અને તેમના સમર્થકોએ સાંજે કોંગ્રેસી આગેવાનોના બેનરો સળગાવ્યાં
ત્રણ દિવસથી ચાલતાં હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત : કોંગ્રેસમાં વોર્ડ નંબર ૨માં સમસાદઅલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાના મેન્ડેડ પર મોહર
ભરૂચ.
ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૨ની કોંગ્રેસની ઉમેદવારીને લઈને છેલ્લા ત્રણેક દિવસથી હાઈ વોલટેજ ડ્રામા ચાલી રહ્યો છે. માત્ર ભરૂચ જિલ્લામાં જ નહીં પરંતુ આખા રાજ્યમાં જે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. તેનો આખરે સોમવારે અંત આવ્યો છે. શહેર પ્રમુખ દ્વારા અપાયેલાં મેન્ટેડ પરથી ઉભા રહેલાં કુતબુદીન ઉર્ફે કરણ ટેલરની સામે પ્રદેશમાંથી મળેલાં મેન્ડેડના આધારે સમસાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાની દાવેદારી માન્ય રખાઈ છે. જોકે, તે બાદ બન્ને પક્ષે ચોકાવનારા નિવેદનો આપ્યાં છે.સમસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે, શહેર પ્રમુખે મનસ્વી રીતે પ્રદેશમાંથી મળેલાં મેન્ડેડના બદલે પોતાની રીતે અન્યને મેન્ડેડ આપતાં કોંગ્રેસમાં આંતરિક વિવાદ ઉભો કર્યો છે. જેથી તેમણે રાજીનામું આપી દેવું જોઈએ બીજી તરફ કુતબુદ્દીન ટેલરે જણાવ્યું હતું કે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ મેન્ડેડ આપવામાં મોટો સોદો કર્યો છે.
ભરૂચ નગરપાલિકાની ચૂંટણી આ વખતે ભારે ચર્ચામાં રહી છે. તેમાંય કોંગ્રેસના વોર્ડ નંબર ૨ની દાવેદારીનો વિવાદ ભારે ગરમાવો હતો. ત્રણ દિવસથી સાચો ઉમેદવાર કોણ તે અંગે ભારે અસમંજસ ચાલી રહી હતી. જોકે, સોમવારે સમગ્ર વિવાદનો અંત તો આવ્યો હતો. પરંતુ કોંગ્રેસમાં આંતરિક વિવાદ વધુ વકર્યો હતો. ચૂંટણી વિભાગે સમસાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાવાનું મેન્ડેડ માન્ય રાખી હતી.
સમસાદ અલી સંપદે જણાવ્યું હતું કે, શહેર પ્રમુખ સલીમ અમદાવાદીએ પ્રદેશ મોવડી મંડળના નેતૃત્વમાં તેમજ જિલ્લા પ્રમુખ,જિલ્લા-તાલુકા પ્રભારીઓની હાજરીમાં જે નામો નક્કી થયાં હતાં. તે પૈકીના કેટલાયના નામ બદલી નાંખ્યાં હતાં. પ્રદેશમાંથી કોરા મેન્ડેડ લઈ આવી શહેર પ્રમુખે પોતાની મનમાનીથી ઉમેદાવારોને ઉભા કર્યા છે. કુતબુદીન ટેલરને કઈ સીટ પરથી ભરાવવાનું તે નક્કી જ હતું. છતાં તેમને વોર્ડ નંબર બે માંથી લડાવી કાર્યકરો વચ્ચે મનભેદ અને મતભેદ ઉભા કરી દીધાં છે, જેને મેન્ડેડ નક્કી થયાં તેને નહીં આપી બીજાને મેન્ડેડ આપી શહેર પ્રમુખ સલીમ અમદાવાદીએ સમગ્ર કોગ્રેસમાં આંતરિક વિવાદ ઉભો કર્યો છે. ત્યારે તેઓ એક જવાબદાર પદ પર હોવા છતાં આવું કૃત્ય કરી કોંગ્રેસને નુકસાન પહોંચાડયું છે ત્યારે તેમણે સ્વૈચ્છિક રાજીનામું આપી દેવું જોઈએ. જિલ્લા પ્રભારી મનહર પટેલને પણ આ પ્રકારનો દખો ઉભો થવાનો અહેસાસ થતાં તેમણે પદ છોડી દીધું હતું.
મામલામાં કુતબુદ્દીને પણ સોશિયલ મિડીયા પર લાઈવ રોષ વ્યક્ત કર્યો હતો કે, તેમની સાથે દગો કરવામાં આવ્યો છે.પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ મોટો સોદો કર્યો છે, જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ માઈનોરિટી સાથે ગદારી કરી છે. તેમની સાથે સાથે ડો. ઈરફાન કે જે પ્રભારી છે, બરોડાના મુબારક પટેલ, ઈરફાન રાઠોડ જે સમાજના જ છે તેમ છતાં તેઓ પણ આ સોદામાં સંડોવાયેલાં છે. સૌથી મોટો સોદાગર જિલ્લા પમુખ રાજેન્દ્રસિહ રણા છે. સાથે સાથે તેમણે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સમાજના દોગલા લોકો એસી ઓફિસમાં બેસીને રાજકારણ કરે છે.
