સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે ભરૂચ તાલુકા કોંગ્રેસમાં અસંતોષ બહાર આવ્યો છે. ટિકિટ ફાળવણી મુદ્દે અવગણના થતા કેટલાક અગ્રણીઓ અને કાર્યકરોએ કોંગ્રેસ છોડીને ભાજપનો દામન પકડ્યો હોવાનું જાહેર કર્યું છે.
કોંગ્રેસના કાર્યકરોના જણાવ્યા મુજબ, હાલની ચૂંટણીમાં તેમની તરફથી એક-બે સીટ માટે ઉમેદવારીની માંગ કરવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસ સમિતિએ તેમને ટિકિટ આપી નહોતી. તેઓએ આક્ષેપ કર્યો કે પાયાના કાર્યકરો તરીકે વર્ષોથી પક્ષને મજબૂત બનાવવા મહેનત કરવા છતાં તેમના ઉમેદવારોને અવગણવામાં આવ્યા છે.
કાર્યકરોનું કહેવું છે કે જાહેર જીવનમાં સક્રિય અને પક્ષને સારો પરિણામ અપાવી શકે એવા નામોની ભલામણ કરવા છતાં કોંગ્રેસ દ્વારા તે નામો કાપી નાખવામાં આવ્યા, જેના કારણે અસંતોષ ફેલાયો છે.
આ પરિસ્થિતિમાં કમલેશ પરમાર (ભરૂચ તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ), રવી મકવાણા (મંત્રી, ભરૂચ તાલુકા કોંગ્રેસ), વિરલ પ્રજાપતિ, વિરલ સોલંકી (એસસી સેલ મોરચાના મહામંત્રી), યોગેશ સોલંકી અને જય પરમાર સહિતના કાર્યકરોએ ભાજપમાં જોડાયા હોવાનો નિર્ણય જાહેર કર્યો છે.
તેમણે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈ તેઓ ભાજપમાં જોડાયા છે અને હવે પક્ષને મજબૂત બનાવવા માટે કાર્ય કરશે.
આ ઘટનાથી ભરૂચ કોંગ્રેસમાં આંતરિક અસંતોષ વધુ સ્પષ્ટ થયો છે, જે ચૂંટણી પહેલાં પક્ષ માટે પડકારરૂપ બની શકે છે.
