ભરૂચ જિલ્લામાં નેશનલ હાઈવે નં. 48 પર આવેલા મુલદ ટોલ પ્લાઝા પર સ્થાનિક ટ્રાવેલ્સના ડ્રાઇવરો અને ટ્રાન્સપોર્ટ સંચાલકોએ ટોલ વસૂલાતના વિરોધમાં અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ડ્રાઇવરોએ પોતાની લક્ઝરી બસો ટોલ બૂથ વચ્ચે ઊભી રાખતા ટોલ પ્લાઝા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે મુસાફરો અને અન્ય વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, સ્થાનિક વાહનચાલકો પાસેથી ટોલ વસૂલવામાં આવતો હોવાથી લાંબા સમયથી ટ્રાવેલ્સ સંચાલકો અને ટોલ સંચાલકો વચ્ચે મતભેદ ચાલી રહ્યા છે. આ મુદ્દે આજે ડ્રાઇવરો એકજૂથ બની ટોલ પ્લાઝા પર ઘૂસી ગયા હતા અને બસો ઉભી રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો.
ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ડ્રાઇવરો સાથે વાતચીત કરી તેમને સમજાવતાં અંતે મામલો શાંત પડ્યો હતો અને ટ્રાફિક ફરી સામાન્ય બનાવાયો હતો.
વિરોધ કરી રહેલા ડ્રાઇવરોએ આક્ષેપ કર્યો હતો કે સ્થાનિક વાહનો પાસેથી ટોલ વસૂલવો યોગ્ય નથી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે બ્રિજ પર વાહન બગડે ત્યારે સમયસર હટાવવામાં આવતું નથી, જેના કારણે કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે. ટોલનાકા પર લાંબી કતારો પણ લોકો માટે મુશ્કેલી ઊભી કરે છે.
ડ્રાઇવરોએ સવાલ ઉઠાવ્યો હતો કે “જ્યારે બે-બે કલાક ટ્રાફિકમાં અટવાઈ જવું પડે ત્યારે ટોલ શા માટે ભરવો?”
બીજી તરફ, ટોલ પ્લાઝા સંચાલકોનો દાવો છે કે તેઓ સરકારના નિયમો અનુસાર જ ટોલ વસૂલી રહ્યા છે. પોલીસે હસ્તક્ષેપ કર્યા બાદ હાલ પરિસ્થિતિ સામાન્ય બની ગઈ છે.
