ઘરકામના મુદ્દે માતા-પિતા સાથે થયેલા વિવાદને પગલે બિહારની 15 વર્ષીય કિશોરી ઘરેથી નીકળી ભરૂચ આવી પહોંચી હતી. ભરૂચ રેલવે સ્ટેશન પરથી સખી વન સ્ટોપ સેન્ટરે તાત્કાલિક કાર્યવાહી કરીને કિશોરીને સુરક્ષિત આશ્રય અને જરૂરી સહાય ઉપલબ્ધ કરાવી હતી.
સખી સેન્ટર ખાતે કાઉન્સેલિંગ દરમિયાન કિશોરીએ જણાવ્યું હતું કે ઘરકામને લઈને થતા ઝઘડા અને માનસિક તણાવને કારણે તે ઘર છોડીને નીકળી આવી હતી. કાઉન્સેલરોએ તેને સમજાવી તેની મનોદશામાં સુધારો લાવવા પ્રયાસ કર્યો હતો.
પછી કિશોરી દ્વારા આપવામાં આવેલા સંપર્ક નંબરના આધારે સેન્ટરે તેના પિતાનો સંપર્ક સાધ્યો હતો અને દીકરી સુરક્ષિત હોવાની જાણ કરી ભરૂચ આવવા જણાવ્યું હતું. માહિતી મળતા જ પિતા તરત જ ભરૂચ માટે રવાના થયા હતા અને બીજા દિવસે સેન્ટર ખાતે પહોંચ્યા હતા.
સેન્ટર ખાતે પિતાની ઓળખ પુરાવા આધારે ચકાસણી કર્યા બાદ માતા-પિતા અને કિશોરીનું સંયુક્ત કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પરિવારને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સખી વન સ્ટોપ સેન્ટરના સંવેદનશીલ પ્રયાસોથી અંતે પરિવાર વચ્ચે સુખદ સમાધાન થયું હતું અને કિશોરીનું તેના માતા-પિતા સાથે સફળતાપૂર્વક પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું.
