ભરૂચ:
વિશ્વ વારસા દિવસ (World Heritage Day) ની ઉજવણીના અવસરે આજ રોજ રુંગટા વિદ્યાભવન દ્વારા ભરૂચ શહેરમાં હેરિટેજ વૉકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને સ્થાનિક ઐતિહાસિક વારસાની ઓળખ અપાવવા તેમજ તેમની અંદર સંસ્કૃતિ પ્રત્યે ગૌરવભાવ વિકસે તે હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો.
હેરિટેજ વૉક દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકમંડળે ભરૂચના વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી હતી. જેમાં જામા મસ્જિદ, સરદાર મંઝિલ, રાયચંદ દીપચંદ લાઇબ્રેરી, આર.એસ. દલાલ હાઈસ્કૂલ અને ભરૂચ ફોર્ટ વોલ જેવા મહત્વપૂર્ણ વારસાગત સ્થળોનો સમાવેશ થયો હતો. દરેક સ્થળે વિદ્યાર્થીઓને તેની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, સ્થાપત્ય કળા તેમજ સામાજિક મહત્વ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓએ માત્ર સ્થળોની મુલાકાત જ નહીં લીધી પરંતુ નોંધપોથીમાં મહત્વપૂર્ણ માહિતી નોંધવાની પ્રવૃત્તિ દ્વારા શૈક્ષણિક અભ્યાસને પ્રાયોગિક અનુભવ સાથે જોડવાનો અનોખો પ્રયાસ કર્યો હતો.
કાર્યક્રમ શાળા કેમ્પસમાંથી પ્રસ્થાન સાથે શરૂ થયો હતો અને સમગ્ર યાત્રા પદયાત્રા સ્વરૂપે યોજાઈ હતી. માર્ગ દરમિયાન વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને જિજ્ઞાસા સ્પષ્ટ રીતે જોવા મળી હતી.
શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં પોતાના શહેરના ઐતિહાસિક વારસાને ઓળખવાની અને તેને જાળવવાની પ્રેરણા પ્રગટ થઈ હતી.
