નવા તવરા ખાતે 15 ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ દ્વારા આગામી તા. 3 મે, 2026ના રોજ 23મો સમૂહ લગ્ન ઉત્સવ ભવ્ય રીતે યોજાવાનો છે. આ વર્ષે કુલ 23 નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડશે.
આ સમૂહ લગ્ન ઉત્સવમાં સમાજ દ્વારા એક અનોખી અને પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. તમામ નવદંપતિઓને કંકોત્રી વિતરણ સાથે સાથે એક-એક વૃક્ષ આપવામાં આવ્યું છે. નવદંપતિઓ પોતાના ઘરે, ખેતરે અથવા વાડીમાં આ વૃક્ષનું વાવેતર કરશે, જેથી પ્રકૃતિનું સંરક્ષણ થાય અને પર્યાવરણ જાગૃતિ ફેલાય.
આ પ્રસંગે નવા તવરા સ્થિત સમૂહ લગ્ન સ્થળે સમાજના અગ્રણીઓ તથા સંત-મહંતોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પહેલ દ્વારા નવદંપતિઓને પ્રકૃતિ સાથે જોડાવાનો સંદેશ આપવામાં આવ્યો છે.
સમૂહ લગ્નના આયોજકો દ્વારા વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે કે, જોડાનાર તમામ નવદંપતિઓ પાસેથી માત્ર પ્રતીકરૂપે 1 રૂપિયો લઈ લગ્ન વિધિ કરાવવામાં આવશે, જે સમાજમાં સહકાર અને સાદગીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
ઉલ્લેખનીય છે કે, 15 ગામ માછી પટેલ સમાજ દ્વારા છેલ્લા 23 વર્ષથી સમૂહ લગ્ન ઉત્સવનું સફળ આયોજન કરવામાં આવે છે. દર વર્ષે અલગ-અલગ ગામ યજમાન બને છે, અને આ વર્ષે નવા તવરા ગામને આ સન્માન મળ્યું છે.
આ સમૂહ લગ્ન ઉત્સવ સામાજિક એકતા, સાદગી અને પર્યાવરણ જાગૃતિનો સુંદર સંદેશ આપતો પ્રસંગ બની રહેશે.
