ભરૂચ :
શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ચિંગસપુરા રાણા સ્ટ્રીટમાં આગની ગંભીર ઘટના સર્જાઈ હતી, જેમાં એક લાકડાનું મકાન સંપૂર્ણપણે બળી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
માહિતી મુજબ ચિંગસપુરા વિસ્તારમાં રહેતા ડાહ્યાભાઈ રાણાના મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ લાકડાનું મકાન હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી.
ઘટનાસ્થળેથી ઊઠતા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાઈ રહ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક અંદાજ મુજબ મકાનમાં રહેલો ગેસ સિલિન્ડર ફાટ્યો હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે આગ વધુ વિકરાળ બની હતી.
ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના ત્રણ ટેન્ડર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ફાયરકર્મીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગની તીવ્રતાને કારણે મકાન સંપૂર્ણપણે અંદરથી બળી રાખ થઈ ગયું હતું, જેના કારણે મોટાપાયે માલમત્તાને નુકસાન થયું છે. હાલ આગ લાગવાના ચોક્કસ કારણોને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
