– 65 શાળાઓએ મેળવ્યું 100% પરિણામ, નાહીયેર કેન્દ્ર જિલ્લામાં પ્રથમ
– 15,928 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ, વિદ્યાર્થીઓ-વાલીઓમાં ખુશીની લહેર
ભરૂચ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થતા ભરૂચ જિલ્લામાં આનંદનો માહોલ છવાયો છે. જિલ્લામાં આ વર્ષે કુલ 84.15 ટકા પરિણામ નોંધાયું છે, જે ગત વર્ષની સરખામણીએ સુધારો દર્શાવે છે.
જિલ્લામાં નોંધાયેલા 19,949 વિદ્યાર્થીઓમાંથી 18,928 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા, જેમાંથી 15,928 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયા છે. આ વર્ષે જિલ્લામાં શૈક્ષણિક ગુણવત્તામાં વધારો નોંધાયો છે. કુલ 65 શાળાઓએ 100 ટકા પરિણામ હાંસલ કરીને ઉત્તમ પ્રદર્શન કર્યું છે, જ્યારે એક શાળાનું પરિણામ 0 ટકા નોંધાયું છે, જે ચિંતાનો વિષય છે.
જિલ્લાના 32 પરીક્ષા કેન્દ્રોમાં જંબુસર તાલુકાનું નાહીયેર કેન્દ્ર 97.88 ટકા સાથે પ્રથમ ક્રમે રહ્યું છે. જ્યારે આમોદ કેન્દ્રનું પરિણામ 60.94 ટકા સાથે સૌથી ઓછું નોંધાયું છે.અન્ય કેન્દ્રોમાં જાગેશ્વર (95.48%), કરમાડ (94.27%), નબીપુર (93.20%), અંકલેશ્વર GIDC (92.96%) અને દયાદરા (92.74%) કેન્દ્રોએ પણ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે.જિલ્લા મુખ્ય મથક ભરૂચના વિવિધ કેન્દ્રોમાં પરિણામ 70 થી 87 ટકાની વચ્ચે રહ્યું છે.
જિલ્લામાં કુલ 525 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. આ ઉપરાંત 1,883 વિદ્યાર્થીઓએ A2, 299 વિદ્યાર્થીઓએ B1 અને 3,734 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે.ભરૂચ જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી પરિણામમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વર્ષ 2024માં 81.12 ટકા, વર્ષ 2025માં 83.58 ટકા અને આ વર્ષે 84.15 ટકા પરિણામ નોંધાયું છે.
પરિણામ જાહેર થતા જ સફળ થયેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. જિલ્લા શિક્ષણ તંત્ર અને શિક્ષકોના પ્રયત્નોને પણ વ્યાપક પ્રશંસા મળી રહી છે.
