ભરૂચ : ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ (AIOCD) દ્વારા ૨૦ મેના રોજ દેશવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. જેના પગલે સમગ્ર દેશમાં તમામ નાની-મોટી હોલસેલ તેમજ રિટેલ મેડિકલ સ્ટોર ૨૪ કલાક માટે સંપૂર્ણપણે બંધ રહેશે. આ બંધને ગુજરાતના અંદાજિત ૩૫ હજાર સહિત દેશભરના આશરે ૧૨.૪ લાખ કેમિસ્ટોનું સમર્થન મળ્યું હોવાનું જણાવાયું છે.
ભરૂચ ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા પણ આ હડતાળને સંપૂર્ણ સમર્થન આપવામાં આવ્યું છે. એસોસિએશનના પ્રમુખ ભરત શાહે ભરૂચ જિલ્લાના નાગરિકોને આગોતરી સાવચેતી રાખવા અપીલ કરી છે. ખાસ કરીને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, થાઈરોઈડ સહિતની નિયમિત દવાઓ લેતા દર્દીઓને ૨૦ મે પહેલાં જ જરૂરી દવાઓનો પૂરતો સ્ટોક ખરીદી લેવા સૂચના આપવામાં આવી છે જેથી કોઈ અગવડતા ન પડે.
આંદોલન પાછળનું મુખ્ય કારણ ઓનલાઈન પ્લેટફોર્મ પર પ્રિસ્ક્રિપ્શન વગર થતું દવાઓનું વેચાણ, એન્ટીબાયોટિક્સનો દુરુપયોગ, ગેરકાયદેસર ડિસ્કાઉન્ટ નીતિઓ અને ડુપ્લિકેટ દવાઓના વધતા જોખમને ગણાવવામાં આવ્યું છે. કેમિસ્ટ સંગઠનોના જણાવ્યા મુજબ ગેરકાયદેસર ઈ-ફાર્મસીના વધતા પ્રભાવને કારણે સ્થાનિક ફાર્મસીઓના અસ્તિત્વ સામે ગંભીર પડકાર ઉભો થયો છે.
કેમિસ્ટ સંગઠનોએ જણાવ્યું હતું કે આ હડતાળનો હેતુ દર્દીઓની સુરક્ષા, નિયમિત દવા વ્યવસ્થામાં પારદર્શિતા અને સ્થાનિક મેડિકલ સ્ટોરના હિતોની રક્ષા કરવાનો છે. સાથે જ લોકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ સમયસર જરૂરી દવાઓ ખરીદી લેવા અપીલ કરવામાં આવી છે.
