અંકલેશ્વર શહેરમાં વધતી જતી ગુનાખોરીને અટકાવવા માટે પોલીસ વિભાગ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. હવે શહેરની દરેક રિક્ષાને યુનિક નંબર આપવામાં આવશે, જેના આધારે પોલીસ રિક્ષા અને તેના ડ્રાઈવરની ઝડપથી અને સચોટ ઓળખ કરી શકશે.
નવી વ્યવસ્થા મુજબ, દરેક રિક્ષા પર મોટા અક્ષરે એક વિશેષ યુનિક નંબરનું સ્ટીકર લગાવવામાં આવશે. આ નંબરના આધારે સંબંધિત પોલીસ મથકમાં રિક્ષાની સંપૂર્ણ વિગતો નોંધવામાં આવશે. જેમાં રિક્ષાનો મૂળ નોંધણી નંબર, રિક્ષા માલિકની માહિતી તેમજ જો રિક્ષા ભાડેથી ચલાવવામાં આવતી હોય તો ભાડુઆત ડ્રાઈવરનું ઓળખકાર્ડ અને મોબાઈલ નંબર સહિતનો સંપૂર્ણ ડેટાબેઝ પોલીસ પાસે ઉપલબ્ધ રહેશે.
તાજેતરમાં જ અંકલેશ્વર પોલીસ દ્વારા મુસાફરના સ્વાંગમાં રિક્ષામાં ફરતી ભાવનગરની ગેંગને ઝડપી પાડવામાં આવી હતી. આ બનાવ બાદ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ રિક્ષાઓના માધ્યમથી થતા ગુનાઓને રોકવા માટે આ વિશેષ પહેલ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ડૉ. કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ રિક્ષાઓને યુનિક નંબર આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ આ પહેલની શરૂઆત શહેરના એ-ડિવિઝન પોલીસ મથકથી કરવામાં આવી છે. આગામી સમયમાં ડિવિઝન હેઠળ આવતા અન્ય પોલીસ મથકોમાં પણ આ વ્યવસ્થા અમલમાં મુકવામાં આવશે.
પોલીસ દ્વારા રિક્ષાઓ પર લગાવવામાં આવતા યુનિક નંબરના સ્ટીકરો મોટા અને સ્પષ્ટ બનાવવામાં આવ્યા છે, જેથી સામાન્ય નાગરિકો પણ સરળતાથી નંબર જોઈ શકે અને જરૂર પડે ત્યારે પોલીસને માહિતી આપી શકે. આ પહેલથી શહેરમાં ગુનાખોરી પર નિયંત્રણ મેળવવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
