ભરૂચ તાલુકામાં આવેલાં તવરા રોડ પર ગોલ્ડન લક્ઝરીયા ખાતે રહેતાં ૬૦ વર્ષીય જશુભાઈ ખુશાલભાઈ જાંબુ પોલીસ ખાતમાંથી નિવૃત જીવન ગુજારે છે. તેમનો એક પુત્ર દહેજ કંપનીમાં ફાયર સેફ્ટીમાં નોકરી કરે છે. જ્યારે નાનો પુત્ર કેનેડા ગયો છે. તે તેમની પત્ની રમીલા અને પુત્ર બ્રિજેશ સાથે રહે છે. દરમિયાનમાં ગત ૧૭મી મેના રોજ બપોરના બે વાગ્યાના અરસામાં તેઓ ઘરમાં સુઈ રહ્યાં હતાં. તે વેળાં તેમનો પુત્ર બ્રિજેશ નશો કરેલી હાલતમાં ઘરે આવી જમવાનું શું બનાવ્યું છે ? તેમ પુછતાં તેમણે જણાવ્યું હતું કે, બીરીયાની બનાવી છે, તું હાથ-મો ધોઈ લે અને જમીલે. તેમ કહેતાં તેમનો પુત્ર બીજેશે રસોડામાં જઈ બિરયાનીનું તપેલું ફેંકી દીધું હતું. તેમજ તેમને અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કરવા લાગ્યો હતો.
જેથી તેઓ કહેવા જતાં બ્રિજેશે તેમના પર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. અરસામાં તેમની પત્ની છોડાવવા વચ્ચે પડતાં બિજેશે તેની માતાને પણ ઢીકાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી ઘરમાંથી નિકળી ગયો હતો. જોકે, જતાં જતાં આજે તો તું બચી ગયો છે જો પોલીસ બોલાવી મને પકડાવીશ તો જામીન પર છુટી તમને લોકોને જાનથી મારી નાંખીશ તેવી ધમકીઓ આપી હતી. બ્રિજેશ છેલ્લા કેટલાંય સમયથી આજ પ્રકારે વારંવાર ધમાલ કરી ઘરમાં ટીવી ફોડી નાંખી, ગેલેરીનો કાચ તોડી નાંખી, તેમજ મોબાઈલ ફોન ફેંકીને તોડી નાંખી કુલ ૪૦ હજારનું નુકશાન કર્યું છે. તેને તેઓએ બેદખલ કરી દીધો હોવા છતાં તે સુધરવા માંગતો નથી. તે અવાર નવાર વૃદ્ધ માતા-પિતા પર હાથચાલાકી કરતો હોય છે. જેના પગલે તેમણે આખરે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
