ભરૂચ :
વિશ્વ હિંદુ પરિષદ ભરૂચ જિલ્લા દ્વારા આવનારી બકરી ઈદ પર્વ નિમિતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ગૌવંશની હેરફેર અને ગેરકાયદેસર કતલખાનાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
આવેદનમાં જણાવાયું છે કે બકરી ઈદ દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગૌવંશની હેરફેર અને ગેરકાયદેસર કતલની ઘટનાઓ બનવાની શક્યતા રહેતી હોવાથી જિલ્લા પ્રશાસન દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવે. સાથે જ જાહેર સ્થળો પર પ્રાણીઓની કુરબાની ન કરવામાં આવે અને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવાય તે માટે જરૂરી પગલાં લેવા માંગ કરવામાં આવી છે.
વિશ્વ હિંદુ પરિષદે પોલીસ તંત્રને ચેકિંગ વધારવા, સીસીટીવી દ્વારા નજર રાખવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઉપરાંત સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકનારાઓ સામે પણ સખત પગલાં ભરવા રજૂઆત કરાઈ છે.
આવેદનપત્ર જિલ્લા અધ્યક્ષ અને જિલ્લા મંત્રીની હાજરીમાં આપવામાં આવ્યું હતું.
