ભરૂચ:
ભરૂચ શહેરના સંતોષી વસાહતથી એપીએમસી માર્કેટને જોડતા મુખ્ય માર્ગ પર રખડતાં ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. માર્ગ પર ટોળે વળીને બેસી રહેતા અને અચાનક દોડાદોડી કરતાં ઢોરોના કારણે વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે. પરિણામે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ માર્ગ પર રોજિંદા મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. તેમ છતાં રખડતાં ઢોરોને દૂર કરવાની અસરકારક કાર્યવાહી થતી ન હોવાથી અકસ્માતનો ભય પણ સતત સતાવી રહ્યો છે.
સ્થાનિકોમાં એવી લાગણી જોવા મળી રહી છે કે અનેક રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. તેઓએ નગરપાલિકાને તાત્કાલિક રખડતાં ઢોરોને પકડી સલામત સ્થળે ખસેડવા અને ટ્રાફિક વ્યવસ્થા સુચારુ બનાવવા અસરકારક પગલાં લેવા માંગ કરી છે.
હવે પ્રશ્ન એ છે કે, લોકોની સુરક્ષા અને સુવિધા માટે નગરપાલિકાની ઊંઘ ક્યારે ઉડશે?
