ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ની ભરૂચ જિલ્લા સમિતિ દ્વારા આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખપદને લઈને ઊભા થયેલા વિવાદ મામલે રાજ્યપાલને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો તેમજ આદિવાસી સમાજના પ્રતિનિધિઓએ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) સમાજના બંધારણીય હકો અને અનામત અધિકારોના રક્ષણની માંગ ઉઠાવી હતી.
આવેદનપત્રમાં જણાવાયું હતું કે આણંદ જિલ્લા પંચાયતનું પ્રમુખપદ અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત હોવા છતાં કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરી ભાજપના ઉમેદવારને પ્રમુખપદે બેસાડવામાં આવ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે પરપ્રાંતીય આદિવાસી પ્રમાણપત્રના આધારે ગુજરાતમાં અનામત પદનો લાભ આપવામાં આવ્યો છે, જે નિયમો તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓના વિરુદ્ધ હોવાનું જણાવાયું છે.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા એ જણાવ્યું હતું કે આવા નિર્ણયોથી ભવિષ્યમાં ગુજરાતના SC-ST સમાજના શિક્ષણ, રોજગાર અને રાજકીય પ્રતિનિધિત્વ પર ગંભીર અસર પડી શકે છે. તેમણે રાજ્યપાલને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરી કાયદા મુજબ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
કોંગ્રેસે ચેતવણી ઉચ્ચારી હતી કે જો આ મુદ્દે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે.
આ પ્રસંગે શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, આદિવાસી આગેવાન અનિલ ભગત, પાલિકાના સભ્ય જીગ્નેશ બ્રહ્મભટ્ટ, ઝુબેર પટેલ સહિત મહિલા આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
