ભરૂચના આલી કાછીયાવાડ વિસ્તાર માં તાજેતરમાં બનાવવામાં આવેલો પેવર બ્લોક રોડ થોડા જ દિવસોમાં ફરીથી ઉખાડી નાખવામાં આવતા સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો. વિકાસના કામોમાં યોગ્ય આયોજનના અભાવને લઈને રહીશોએ પાલિકા તંત્ર સામે સવાલો ઉઠાવ્યા હતા.
વોર્ડ નંબર 8 હેઠળ આવતા આ વિસ્તારમાં રોડનું કામ પૂર્ણ થયા બાદ ગટરની કામગીરી હાથ ધરવા માટે રોડ તોડી પાડવામાં આવ્યો હતો. જેના કારણે સરકારી નાણાંના બગાડ સાથે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
ઘટનાની જાણ થતાં પાલિકાના કોર્પોરેટર જીગ્નેશ બ્રહ્મભટ્ટ સ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વિકાસના કામોમાં યોગ્ય આયોજનના અભાવે વારંવાર સરકારી નાણાંનો બગાડ થઈ રહ્યો છે, જેનો ભોગ સામાન્ય નાગરિકો બની રહ્યા છે.
મામલો સામે આવતા ભરૂચ નગરપાલિકા નું વહીવટી તંત્ર સક્રિય બન્યું હતું. લાંબા સમયથી અટવાયેલી ગટરની કામગીરી તાત્કાલિક શરૂ કરાવી કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત પૂર્ણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
કોર્પોરેટર જીગ્નેશ બ્રહ્મભટ્ટ એ વધુમાં જણાવ્યું હતું કે રોડ તોડવાથી થયેલા નુકસાન માટે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરી નુકસાનની રકમ વસૂલ કરવામાં આવવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવી બેદરકારી ફરી ન સર્જાય.
