ભરૂચ – ભરૂચ જિલ્લાના હવામાનમાં આગામી દિવસોમાં મોટો પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન ભારે પવન, વીજળીના કડાકા અને પ્રિ-મોન્સુન વરસાદ વરસી શકે છે. ખાસ કરીને ૨ અને ૩ જૂનના રોજ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આજે અને આવતીકાલે એટલે કે ૩૦ અને ૩૧ મે દરમિયાન જિલ્લામાં ૨૬ થી ૨૮ કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે. ત્યારબાદ ૧ જૂનથી વાદળછાયું વાતાવરણ સર્જાશે અને ૩ જૂન સુધી દરરોજ અંદાજે ૧૦ થી ૩૦ મીમી જેટલો વરસાદ પડી શકે છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોને ખાસ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકને નુકસાન થવાની શક્યતા હોવાથી મગફળી, તલ, મગ જેવા તૈયાર પાક તેમજ કેરીની તાત્કાલિક કાપણી અને વીણી કરી લેવા સલાહ આપવામાં આવી છે.
કાપણી કરેલા પાકને ખેતરમાં ખુલ્લામાં ન રાખી સુરક્ષિત ગોડાઉનમાં ખસેડવા અથવા ઊંચાણવાળા સ્થળે મજબૂત તાડપત્રીથી ઢાંકી રાખવા સૂચના આપવામાં આવી છે. આગામી વરસાદને ધ્યાને લઈ ખેતરમાં પિયત આપવાનું તેમજ દવા-ખાતરનો છંટકાવ હાલ પૂરતો મુલતવી રાખવાની ભલામણ પણ કરવામાં આવી છે.
ભારે પવનથી નુકસાન ટાળવા માટે કેળા જેવા ઊંચા પાકને વાંસનો ટેકો (પ્રોપિંગ) આપવો જરૂરી હોવાનું સંશોધન વૈજ્ઞાનિક, પ્રાદેશિક કપાસ સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, ભરૂચ દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદીમાં જણાવાયું હતું.
