ભરૂચ – વાલીયા તાલુકાની સરકારી તેમજ ગ્રાન્ટ ઈન એઈડ પ્રાથમિક શાળાઓમાં PM પોષણ યોજના અંતર્ગત ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ સત્ર માટે સંચાલક-કમ-કુક, કુક-કમ-હેલ્પર અને હેલ્પરની જગ્યાઓ પર માનદ વેતનથી ખંડ સમય માટે તદન હંગામી ધોરણે નિમણૂક કરવા અરજીઓ મંગાવવામાં આવી છે.
અરજી ફોર્મ મામલતદાર કચેરી વાલીયાની મધ્યાહન ભોજન શાખામાંથી તા.૨૨ મે ૨૦૨૬થી તા.૩ જૂન ૨૦૨૬ સાંજના ૫ વાગ્યા સુધી ઓફિસના કામકાજના દિવસોમાં મેળવી શકાશે. ભરેલ અરજી ફોર્મ જરૂરી પ્રમાણપત્રો, જાતિનો દાખલો તથા અન્ય આધાર પુરાવાઓ સાથે તા.૬ જૂન ૨૦૨૬ સાંજના ૫ વાગ્યા સુધીમાં રૂબરૂ મામલતદાર કચેરીમાં જમા કરાવવાના રહેશે.
જાહેર કરાયેલી લાયકાત મુજબ ઉમેદવાર ભારતનો નાગરિક તથા જાહેરાતમાં દર્શાવેલ ગામનો જ વતની હોવો જરૂરી છે. ઉમેદવારની લઘુત્તમ વય ૨૦ વર્ષ અને મહત્તમ વય ૬૦ વર્ષ નક્કી કરવામાં આવી છે. સંચાલક માટે ઓછામાં ઓછી ધોરણ ૧૦ પાસ લાયકાત ફરજિયાત રાખવામાં આવી છે. જ્યારે રસોયા અને મદદનીશ માટે શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી નથી, પરંતુ સ્થાનિક ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.
વિધવા, ત્યક્તા, નિરાધાર અને આર્થિક રીતે નબળી મહિલાઓને નિમણૂકમાં અગ્રતા આપવામાં આવશે. ઉમેદવારે તંદુરસ્તીનું સરકારી તબીબી પ્રમાણપત્ર, સ્થાનિક રહેઠાણનો દાખલો અને જરૂરી સોગંદનામા રજૂ કરવા રહેશે.
જાહેરાતમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા, સરકાર અથવા જાહેર સાહસમાંથી બરતરફ કરાયેલા, અનાજ ઘંટી, શાકભાજી કે મરીમસાલાનો વેપાર કરતા અથવા અન્ય જગ્યાએ માનદ વેતન/નોકરી કરતા ઉમેદવારોને નિમણૂક આપવામાં આવશે નહીં.
મામલતદાર વાલિયા દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, અધૂરી વિગતોવાળી, સમય મર્યાદા બાદ મળેલી અથવા નિયત ફોર્મ સિવાયની અરજીઓ કોઈ પણ સંજોગોમાં માન્ય ગણાશે નહીં.
