ભરૂચ સ્થિત સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા BGP Health Care Pvt. Ltd. ના સંયુક્ત પ્રયાસથી અબોલ જીવો માટે સતત સેવાકીય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ટ્રસ્ટના પ્રમુખ હેતલભાઈ શાહના માર્ગદર્શન હેઠળ તા. 1 મે 2026 થી 31 મે 2026 દરમિયાન કુલ 170 જેટલા અબોલ જીવોની સારવાર કરવામાં આવી હોવાનું ટ્રસ્ટ દ્વારા જણાવાયું છે.
આ સમયગાળા દરમિયાન 108 શ્વાનોની વિવિધ બીમારીઓ જેવી કે પારવો વાયરસ, CD વાયરસ, અકસ્માત અને પગના ફ્રેક્ચર, ઈચિંગ, સોજો, ઘા, યુરિન બ્લીડિંગ, સ્કિન ઇન્ફેક્શન, ઉલ્ટી અને ડોગ બાઈટ જેવી સમસ્યાઓ માટે સારવાર કરવામાં આવી હતી. ઉપરાંત 8 પક્ષીઓ, 14 બિલાડીઓ, 23 ગાય વર્ગ, 3 નંદી, 12 ગલુડિયા, 1 ગધેડો અને 1 પોપટની પણ સારવાર કરવામાં આવી હતી.
ટ્રસ્ટ દ્વારા અશક્તિ, એનૉરેક્ષિયા, FMD, સાંધાના દુખાવા, ગર્ભાશય બહાર આવવું, તાવ, ઘા અને લંગડું ચાલવું સહિતના વિવિધ રોગોની સારવાર આપવામાં આવી હતી. ગંભીર હાલતમાં રહેલા 14 અબોલ જીવોને વધુ સારવાર માટે કરજણ પાંજરાપોળ, વડોદરા પાંજરાપોળ અને ચાપડ હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા હતા. સારવાર પૂર્ણ થયા બાદ તેમને ફરી મૂળ જગ્યાએ મુકવામાં આવ્યા હતા.
ટ્રસ્ટ દ્વારા દરરોજ આશરે 40 જેટલા રખડતા કુતરાઓને ભોજન આપવામાં આવે છે. સાથે જ ગાયો અને કુતરાઓ માટે વિવિધ સોસાયટીઓમાં પાણી પીવાના હવાડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સેવાકીય કાર્યમાં વિરલબાઈ ચોકસી દ્વારા નિઃશુલ્ક દવાઓની સેવા પૂરી પાડવામાં આવતા ટ્રસ્ટ દ્વારા તેમનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ટ્રસ્ટે લોકોને અબોલ જીવો પ્રત્યે સંવેદનશીલ બની સેવા કાર્યમાં સહયોગ આપવા અપીલ કરી છે. વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર 9429862900 જાહેર કરવામાં આવ્યો છે.
