ભરૂચ, ગુજરાતના જાણીતા કેલિગ્રાફિક અને હેરિટેજ આર્ટિસ્ટ ગોરી યુસુફ હુસેનને મોરોક્કોના ઇફ્રેન શહેરમાં યોજાનાર “Caravan of Art Ifrane” કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિશેષ આમંત્રણ મળ્યું છે. આ આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ તા. 26 થી 28 જૂન 2026 દરમિયાન યોજાશે, જેમાં ભારત અને મોરોક્કો વચ્ચે કલા અને સંસ્કૃતિના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવામાં આવશે.
ગોરી યુસુફ હુસેન માત્ર કલાકાર જ નહીં પરંતુ સદીઓ જૂની પરંપરાગત ઇસ્લામિક કલા અને કેલિગ્રાફીના સંરક્ષક તરીકે પણ ઓળખાય છે. મૂળ ઉપલેટા, ગુજરાતના વતની અને હાલ ભરૂચમાં કાર્યરત ગોરી યુસુફ હુસેને સ્વઅભ્યાસ દ્વારા પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.
તેઓ 300 થી 800 વર્ષ જૂની પરંપરાગત આર્ટ શૈલીઓને ફરી જીવંત બનાવવાનું કાર્ય કરી રહ્યા છે. તેમની કૃતિઓમાં હર્બલ કલર્સ, હેન્ડમેડ પેપર, કોટન ફેબ્રિક અને ચામડાં જેવા પરંપરાગત સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે તેમની કલા મૂળ સ્વરૂપ અને ઐતિહાસિક અસલિયત જાળવી રાખે છે.
ગોરી યુસુફ હુસેનનો હેતુ માત્ર કલા સર્જન કરવાનો નથી, પરંતુ લુપ્ત થતી પરંપરાગત કલાને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે. તેઓ માને છે કે પ્રાચીન કલાને તેની અસલિયત સાથે પુનઃસ્થાપિત કરવું અત્યંત મુશ્કેલ કાર્ય છે, છતાં તેમણે તેને જીવનમિશન બનાવી દીધું છે.
તેઓ “Cultural Ito Art of India”ના ડિરેક્ટર તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે અને ભારતીય પરંપરાગત કલા તથા ઇસ્લામિક કેલિગ્રાફીને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છે.
માત્ર 28 વર્ષની વયે તેઓ 40થી વધુ દેશોમાં 150થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાં ભાગ લઈ ચૂક્યા છે. જોહાનિસબર્ગ બિએનાલે, ઑક્સફર્ડ આર્ટ ફેસ્ટિવલ અને બ્રિટિશ મ્યુઝિયમ જેવી પ્રતિષ્ઠિત વૈશ્વિક પ્રદર્શનોમાં તેમની કૃતિઓને વિશેષ પ્રશંસા મળી છે. ઉપરાંત વિશ્વભરમાં તેમણે અનેક સોલો એક્ઝિબિશન પણ યોજ્યાં છે.
સીમિત જાગૃતિ, ઓછા કલાકારો અને ઊંચી કક્ષાની ચોકસાઈ જેવી અનેક પડકારો વચ્ચે પણ ગોરી યુસુફ હુસેને પોતાની કલાયાત્રા અટકવા દીધી નથી. આજે ભરૂચ સ્થિત પોતાના સ્ટુડિયોમાંથી તેઓ સદીઓ જૂની ઇસ્લામિક કલા અને પરંપરાગત વારસાને જીવંત રાખવા સતત કાર્યરત છે.
ગોરી યુસુફ હુસેન આજે માત્ર એક કલાકાર નહીં, પરંતુ ભારતીય સાંસ્કૃતિક વારસાના સાચા સંરક્ષક તરીકે ઉભરી રહ્યા છે.
