ભરૂચ જિલ્લાના વાગરા ગામમાં આવેલા મુખ્ય તળાવમાં એક અજાણી વ્યક્તિ ડૂબી ગઈ હોવાની આશંકાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. ગામની જુમ્મા મસ્જિદ સામે આવેલા તળાવના કિનારે શંકાસ્પદ હાલતમાં ચપ્પલ મળી આવતા ઘટનાનો પર્દાફાશ થયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ તળાવ કિનારે મળેલા ચપ્પલના આધારે સ્થાનિકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ડૂબનાર વ્યક્તિ કોઈ કચરો વીણનાર અથવા મજૂરી કામ કરનાર હોઈ શકે છે. જોકે હજુ સુધી ડૂબી ગયેલી વ્યક્તિની ઓળખ અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી.
ઘટનાની જાણ ગામમાં ફેલાતાં જ મોટી સંખ્યામાં લોકો તળાવ કિનારે દોડી આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં લોકોમાં ચિંતા અને કૌતુકનો માહોલ જોવા મળ્યો હતો. બનાવ અંગે માહિતી મળતા વાગરા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થળની તપાસ હાથ ધરી હતી.
પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડ તેમજ બચાવ ટીમને જાણ કરી હતી. તળાવમાં સંભવિત રીતે ડૂબી ગયેલી વ્યક્તિની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
ઘટનાને લઈને ગામમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ અને બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ જ ડૂબી ગયેલી વ્યક્તિ અંગેની હકીકત અને ઘટનાનું સાચું કારણ બહાર આવી શકશે.
