ભરૂચ:
વરસાદી ઋતુ દરમિયાન અમૂલ્ય વરસાદનું પાણી મોટાપાયે વ્યર્થ વહી જાય છે. આ પાણીનો યોગ્ય સંગ્રહ કરીને ભૂગર્ભ જળસ્તર વધારવા, પાણીની અછત દૂર કરવા અને પર્યાવરણનું સંતુલન જાળવવા માટે રેઈન વોટર હાર્વેસ્ટિંગ અસરકારક ઉપાય હોવાનું માહિતી વિભાગે જણાવ્યું છે. લોકોને જળ સંરક્ષણ અંગે જાગૃત કરવા માટે માહિતી વિભાગ દ્વારા રેઈન વોટર હાર્વેસ્ટિંગ અપનાવવાની અપીલ કરવામાં આવી છે.
રેઈન વોટર હાર્વેસ્ટિંગ મુખ્યત્વે બે પ્રકારનું હોય છે. રૂફટોપ હાર્વેસ્ટિંગમાં મકાનના છાપરા પરથી વહેતા વરસાદી પાણીને પાઇપ મારફતે ટાંકી અથવા રિચાર્જ પીટમાં સંગ્રહિત કરવામાં આવે છે, જ્યારે સર્ફેસ હાર્વેસ્ટિંગમાં તળાવ, ખાડા અથવા ચેકડેમ જેવા માધ્યમોથી વરસાદી પાણીને રોકીને જમીનમાં ઉતારવામાં આવે છે.
માહિતી વિભાગના જણાવ્યા અનુસાર, ઘરગથ્થુ સ્તરે આ પદ્ધતિ સરળતાથી અમલમાં મૂકી શકાય છે. છાપરા પરથી આવતા વરસાદી પાણીને ફિલ્ટર કરીને ટાંકીમાં સંગ્રહિત કરી ઘરેલુ ઉપયોગ માટે વાપરી શકાય છે. તેનાથી ભૂગર્ભ જળસ્તર રિચાર્જ થાય છે, પાણીની બચત થાય છે તેમજ વરસાદી પાણીના ઝડપી નિકાલને કારણે સર્જાતી જળભરાવાની સમસ્યામાં પણ ઘટાડો થાય છે.
વરસાદી પાણી છોડ અને પાક માટે પણ લાભદાયક હોવાનું જણાવવામાં આવ્યું છે, કારણ કે તેમાં ખનિજ તત્વોનું પ્રમાણ ઓછું હોય છે. ઉપરાંત પાણીની અછતને કારણે થતા ખર્ચમાં ઘટાડો થાય છે અને વિવિધ સરકારી યોજનાઓ હેઠળ રેઈન વોટર હાર્વેસ્ટિંગ માટે સહાયનો લાભ પણ મળી શકે છે.
માહિતી વિભાગે જણાવ્યું છે કે છાપરાના પાઇપને ફિલ્ટર સાથે જોડીને અંડરગ્રાઉન્ડ ટાંકી અથવા રિચાર્જ પીટ સુધી પહોંચાડવાથી વરસાદી પાણીનો અસરકારક ઉપયોગ થઈ શકે છે. સોસાયટી, શાળાઓ અને જાહેર સંસ્થાઓમાં પણ આ પદ્ધતિ અપનાવવામાં આવે તો મોટા પાયે જળસંચય શક્ય બનશે.
માહિતી વિભાગે અંતમાં અપીલ કરતાં જણાવ્યું છે કે વરસાદી પાણીનું સંગ્રહણ માત્ર પાણી બચાવવાની પદ્ધતિ નહીં પરંતુ ટકાઉ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ તરફનું મહત્વપૂર્ણ પગલું છે. “જળ છે તો કલ છે”ના સંદેશને સાકાર બનાવવા દરેક નાગરિકે પોતાના ઘરેથી જ રેઈન વોટર હાર્વેસ્ટિંગની શરૂઆત કરવી જોઈએ.
