ભરૂચ:
ભારત આદિવાસી પાર્ટી (BAP) દ્વારા સોમવારે રાષ્ટ્રપતિને સંબોધીને ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વન વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો વિરોધ વ્યક્ત કરવાની સાથે અનુસૂચિત જનજાતિના બંધારણીય અધિકારોના રક્ષણ માટે કેન્દ્ર સરકારને જરૂરી પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.
પાર્ટીના આગેવાનો દ્વારા રજૂ કરાયેલા આવેદનમાં જણાવાયું છે કે અનુસૂચિત વિસ્તારોમાં આદિવાસી સમાજના જમીન અને જંગલ પરના પરંપરાગત અધિકારોનું સંરક્ષણ સુનિશ્ચિત થવું જોઈએ. સાથે જ વન સંબંધિત કાયદાઓના અમલીકરણ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવી વન અધિકાર સંબંધિત કાયદાઓની સમીક્ષા કરવાની માંગ કરવામાં આવી છે.
આવેદનપત્રમાં ખાસ કરીને પાંચમી અનુસૂચિ હેઠળ આવતાં વિસ્તારોમાં આદિવાસી સમાજને બંધારણીય અને કાનૂની હક્કોનો સંપૂર્ણ લાભ મળે તે માટે યોગ્ય નિર્ણય લેવા અપીલ કરવામાં આવી છે. ઉપરાંત દેશના તમામ રાજ્યપાલોની વિશેષ બેઠક બોલાવી આદિવાસી વિસ્તારોના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવે તેમજ આદિવાસી સમાજના બંધારણીય અધિકારોના રક્ષણ માટે કેન્દ્ર સરકાર અસરકારક પગલાં ભરે તેવી પણ માંગ કરવામાં આવી છે.
ભારત આદિવાસી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજના હકો અને હિતોની સુરક્ષા માટે સરકાર સંવેદનશીલ અભિગમ અપનાવે અને કાયદાકીય જોગવાઈઓનો યોગ્ય રીતે અમલ થાય તે સમયની જરૂરિયાત છે.
