ભરૂચ
ક્યારેક ન્યાયાલય તો ક્યારેક કલેક્ટર કચેરી તો ક્યારેક મામલતદાર કચેરી.. છેલ્લાં કેટલાંક સમયથી કેટલાંક અસામાજિક તત્વો દ્વારા સરકારીઓ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. પોલીસ વિભાગ દ્વારા તાત્કાલિક એક્શનમાં આવી જે તે કચેરીમાં તપાસ કરવામાં આવતી હોય છે. જોકે, હજી સુધી કોઈ સ્થળે સંપિગ્ધ સામગ્રી મળી નથી. દરમિયાનમાં બુધવારે વધુ એકવાર રાજ્યની વિવિધ પાસપોર્ટ- પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાના ઈ-મેઈલ મળતાં પોલીસ વિભાગ પુન: એક્શનમાં આવ્યું છે. બીજી તરફ જગન્નાથ રથયાત્રાને લઈને પણ પોલીસ વિભાગે શહેરમાં ખાસ બંદોબસ્ત ખડક્યો છે.
રાજ્યની પાસપોર્ટ પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉઠાવી દેવાની ધમકી ભર્યા ઈ-મેઈલ કોઈ અજાણ્યા તત્વોએ કર્યા છે. ત્યારે ભરૂચ પોલીસે ક્વિક રિસ્પોન્સ આપી તુરંત જે તે વિસ્તારની પાસપોર્ટ- પોસ્ટ ઓફિસોમાં વિસ્ફોટકોની તપાસ શરૂ કરી છે. ડોગ સ્ક્વોર્ડ તેમજ બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ સહિતની ટીમોએ પોસ્ટ ઓફિસના ખૂણે-ખૂણામાં મેટલ-ભોમ્બ ડિટેક્ટરની મદદથી ચેકીંગ કર્યું હતું. પોસ્ટ ઓફિસમાં આવતા પાર્સલોમાં બોમ્બ હોવાની શક્યતા નકારી શકાય તેમ ન હોવાથી ટીમોએ તમામ પાર્સલોની અને શંકાસ્પદ બેગોની ઝીણવટભરી રીતે તપાસ કરી હતી.
સમગ્ર મામલામાં પોલીસે તપાસને બે દિશામાં શરૂ કરી છે. એક તરફ ટીમો પાસપોર્ટ- પોસ્ટ ઓફિસોમાં ચેકિંગ કરી રહી છે. ત્યારે બીજી તરફ સાયબર ક્રાઈમની ટીમો તેમજ અન્ય સુરક્ષા એજન્સીઓએ બોમ્બ ઘેડનો ઈ-મેલ કોણે કર્યો છે? ક્યાંથી આવ્યો છે ? આવા ઈ-મેલ કરનારા અસામાજિક તત્વો દેશમાંથી જ આઈપી એડ્રેસ બદલીને ખેલ કરી રહ્યાં છે કે પછી કોઈ ચોક્કસ ટોળકી સક્રિય છે તે સહિતી વિગતો મેળવવા ટેક્નિકલ તપાસ પણ શરૂ કરી છે. જોકે, ઘટનાને લઈને હાલમાં પોલીસે લોકને કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વિના સતર્કતા રાખવા અનુરોધ કર્યો છે. ઉપરાંત કોઈપણ સ્થળે શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવે તેવી અપીલકરી હતી. ગુરુવારે ભરૂચમાં અલગ અલગ જગન્નાથ રથયાત્રા નીકળનાર છે ત્યારે રથયાત્રાના દિવસે શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જોકે, જાગૃત નાગરિકોએ પણ તહેવારને લઈને ખાસ સતર્કતા દાખવવામાં આવે તેવી અપીલ કરાઈ છે.
