અલ્હાબાદ હાઈકોર્ટે ભરણપોષણ સંબંધિત એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે છૂટાછેડા લીધેલા પતિના પગારનો કોઈ નિશ્ચિત હિસ્સો જ પત્નીને ભરણપોષણ તરીકે ચૂકવવો ફરજિયાત નથી. પગારના ચોક્કસ પ્રમાણનો માપદંડ માત્ર સામાન્ય માર્ગદર્શિકા હોઈ શકે છે અને દરેક કેસના તથ્યો તથા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોર્ટ વધુ કે ઓછું ભરણપોષણ નક્કી કરી શકે છે.
કાનપુર દેહાતના એક દંપતીના કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પત્નીને મળતું માસિક ભરણપોષણ રૂ.12 હજારથી વધારી રૂ.20 હજાર કરવાનો આદેશ કર્યો હતો. આ કેસ પિંકી ઉર્ફે પ્રીતિ અને તેના પતિ જયપ્રકાશ વચ્ચેનો હતો.
પતિએ પત્ની સામે છૂટાછેડાની અરજી કરી હતી, જે મંજૂર થયા બાદ તેણે ફેમિલી કોર્ટ દ્વારા આપવામાં આવેલા ભરણપોષણના આદેશને પડકાર્યો હતો. બીજી તરફ પત્નીએ ભરણપોષણની રકમ ઓછી હોવાની રજૂઆત કરી તેમાં વધારો કરવાની માંગ કરી હતી. હાઈકોર્ટે બંને અરજીઓની એકસાથે સુનાવણી કરી હતી.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર છૂટાછેડા થઈ જવાથી પત્નીનો ભરણપોષણ મેળવવાનો અધિકાર આપોઆપ સમાપ્ત થતો નથી. જો પત્ની પોતાનું ગુજરાન ચલાવવામાં અસમર્થ હોય અને તેણે પુનઃલગ્ન ન કર્યા હોય તો કાયદાકીય જોગવાઈઓ અનુસાર તે ભરણપોષણ મેળવવા હકદાર બની શકે છે.
કોર્ટે વધુમાં નોંધ્યું કે ભરણપોષણનો હેતુ માત્ર જીવનનિર્વાહ પૂરતો ખર્ચ આપવાનો નથી, પરંતુ મહિલાને ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી આર્થિક સહાય પૂરી પાડવાનો પણ છે.
કેસમાં રજૂ થયેલી વિગતો મુજબ પતિનો પગાર રૂ.86,674 હોવાનું સામે આવ્યું હતું. હાઈકોર્ટે નોંધ્યું કે નીચલી કોર્ટે તમામ જરૂરી દસ્તાવેજો અને પરિસ્થિતિઓની પૂરતી સમીક્ષા કર્યા વિના ભરણપોષણની રકમ નક્કી કરી હતી. પતિ દ્વારા જરૂરી સંપત્તિ અને જવાબદારીઓ અંગેનું સોગંદનામું પણ રજૂ કરવામાં આવ્યું ન હોવાનું નોંધાયું હતું.
અંતે હાઈકોર્ટે પત્નીની અરજી મંજૂર કરી માસિક ભરણપોષણ રૂ.12 હજારથી વધારી રૂ.20 હજાર કરવાનો આદેશ કર્યો હતો. વધારેલી ભરણપોષણની રકમ અરજીની તારીખથી અમલમાં ગણાશે.
