આમોદ તાલુકા પંચાયત ખાતે કામધેનુ ગૌશાળા પંચગવ્ય ચિકિત્સા ટ્રસ્ટ, ધમણાદ દ્વારા ભારતીય દેશી ગાયના મહિમા અને પંચગવ્ય ચિકિત્સા વિષયક વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખેડૂતો, ગૌપ્રેમીઓ, સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ ભારતીય દેશી ગાયના મહત્વ અંગે માહિતી આપી હતી. ગાયને માનવ સ્વાસ્થ્ય, કૃષિ, પર્યાવરણ અને આત્મનિર્ભર ગ્રામ્ય અર્થવ્યવસ્થા સાથે જોડીને તેના વિવિધ પાસાઓ અંગે સમજ આપવામાં આવી હતી.
આ પ્રસંગે પંચગવ્ય ચિકિત્સા, ગૌમૂત્ર અર્કના વિવિધ ઉપયોગો તેમજ ગાયના દૂધ, ઘી અને દહીંના મહત્વ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા અને રાસાયણિક મુક્ત જીવનશૈલી અપનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
વક્તાઓએ ગૌસંવર્ધનને આગામી પેઢીને સ્વસ્થ અને સ્વાવલંબી સમાજ તરફ દોરી જતું મહત્વપૂર્ણ કાર્ય ગણાવ્યું હતું. ઉપસ્થિતોએ લોકજાગૃતિના આ પ્રયાસને સરાહનીય ગણાવી ગૌસેવા અને ગૌઉત્પાદનોના ઉપયોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમના અંતે કામધેનુ ગૌશાળા પંચગવ્ય ચિકિત્સા ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
