અંકલેશ્વર: શહેરના કસ્બાતીવાડ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે એક સ્કૂલ વેન ખુલ્લી ગટરમાં ખાબકી જતાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નહોતી, જેના કારણે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિકોના સહયોગથી સ્કૂલ વેનને સુરક્ષિત રીતે ગટરમાંથી બહાર કાઢવામાં આવી હતી. ઘટનાના સમયે કોઈ બાળકને ઈજા પહોંચી ન હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ બાદ સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. તેમના જણાવ્યા મુજબ વરસાદી સિઝનમાં ખુલ્લી ગટરો વાહનચાલકો અને રાહદારીઓ માટે ગંભીર જોખમ બની રહી છે. જો સમયસર ધ્યાન આપવામાં ન આવે તો ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
સ્થાનિકોએ સંબંધિત તંત્રને ખુલ્લી ગટર પર તાત્કાલિક ઢાંકણાં મૂકવાની તેમજ જોખમી સ્થળોએ જરૂરી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરી છે. સાથે જ વરસાદી મોસમ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લી ગટરોનું સર્વેક્ષણ કરીને અકસ્માતો અટકાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ અપીલ કરવામાં આવી છે.
