ભરૂચ:
રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં છે. તે વચ્ચે ભરૂચ જિલ્લામાં નોંધાયેલા ચાંદીપુરા વાયરસના ત્રણ શંકાસ્પદ કેસના રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. ત્રણેય બાળકોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત કેએમસીઆરઆઈ સંચાલિત સ્પેશિયલ આઇસોલેશન વોર્ડમાં સારવાર આપવામાં આવી હતી. હાલ ત્રણેય બાળકો સંપૂર્ણ સ્વસ્થ થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં ચાંદીપુરા વાયરસ અંગે સર્વેલન્સ અને ઘર-ઘર સર્વેની કામગીરી તેજ કરવામાં આવી છે. જિલ્લામાં પ્રથમ શંકાસ્પદ કેસ ઝથડિયા પંથકમાંથી નોંધાયો હતો, જ્યારે અન્ય બે કેસ ભરૂચ શહેર અને વાલિયા વિસ્તારમાંથી સામે આવ્યા હતા.
ત્રણેય બાળકોમાં સતત તાવ, ઝાડા-ઉલટી તેમજ ખેંચ આવવા જેવા લક્ષણો જોવા મળતાં સાવચેતીના ભાગરૂપે તેમને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ દર્દી તરીકે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેમના લોહીના નમૂનાઓ લઈને લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન બાળકોને ઓક્સિજન સપોર્ટ, જરૂરી દવાઓ અને સતત મેડિકલ મોનિટરિંગ સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. તપાસના રિપોર્ટમાં ત્રણેય બાળકો ચાંદીપુરા વાયરસથી સંક્રમિત ન હોવાનું સ્પષ્ટ થતાં આરોગ્ય વિભાગ અને તબીબોએ રાહત અનુભવી હતી.
કેએમસીઆરઆઈના તબીબોના જણાવ્યા મુજબ, સમયસર નિદાન, તાત્કાલિક સારવાર અને સતત દેખરેખને કારણે ત્રણેય બાળકોની તબિયતમાં ઝડપથી સુધારો થયો હતો અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ બન્યા બાદ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે બાળકોમાં સતત તાવ, ઉલટી, ઝાડા અથવા ખેંચ જેવા લક્ષણો જણાય તો વિલંબ કર્યા વગર નજીકની સરકારી આરોગ્ય સંસ્થામાં સારવાર માટે પહોંચવું તેમજ અફવાઓથી દૂર રહી આરોગ્ય વિભાગની માર્ગદર્શિકાનું પાલન કરવું.
