ભરૂચ: વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચ શહેરમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેલી દરમિયાન શહેરમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને એકતાની ઝલક જોવા મળી હતી.
રેલી મદીના હોટલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ભરૂચ નગરપાલિકાના વોર્ડ નં. 2ના કાઉન્સિલરો દ્વારા રેલીમાં જોડાયેલા આદિવાસી ભાઈ-બહેનો માટે પાણીની બોટલોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરમી વચ્ચે રેલીમાં જોડાયેલા લોકો માટે પાણીની વ્યવસ્થા કરી સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કાઉન્સિલર સમશાદઅલી સૈયદે જણાવ્યું હતું કે, પાણીનું વિતરણ માત્ર એક સેવા નથી, પરંતુ ભાઈચારા, માનવતા અને સેવાભાવનાનું પ્રતિક છે. આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને આગવી ઓળખનું સન્માન કરવું સૌની જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું કે, જનસેવાનો સંકલ્પ સતત ચાલુ રાખી સમાજના તમામ વર્ગોની સાથે રહી સેવા કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
આ પ્રસંગે વોર્ડ નં. 2ના કાઉન્સિલર સમશાદઅલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, વોર્ડ પ્રમુખ ઇકબાલ સલ્લુ, મોહસીન પટેલ સહિતના આગેવાનોએ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમસ્ત આદિવાસી સમાજને શુભેચ્છાઓ પાઠવી હતી.
