વાંકલ: સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજ, ઉમરપાડા ખાતે આચાર્ય પ્રા. સુરેશભાઈ જી. બાગુલના માર્ગદર્શન હેઠળ ‘સપ્તધારા’ના ઉપક્રમે રંગ, કલા અને કૌશલ્ય ધારા અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે રંગોળી, મહેંદી અને કેશગૂંફન સહિતની વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું.
દેશપ્રેમ અને ભારતીય સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરવાના હેતુથી યોજાયેલી આ સ્પર્ધાઓમાં બી.એ., બી.કોમ. અને બી.એસસી.ના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કૉ-ઓર્ડિનેટર ડૉ. જશુબેન એમ. પરમારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી વધુમાં વધુ સંખ્યામાં સહભાગી થવા આહ્વાન કર્યું હતું.
સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ પોતાની કલા અને કૌશલ્યનું સુંદર પ્રદર્શન કરી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. રંગોળી, મહેંદી અને કેશગૂંફનની વિવિધ કૃતિઓમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને મહેનત સ્પષ્ટપણે જોવા મળી હતી.
સ્પર્ધાઓ દરમિયાન વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા તેમજ તટસ્થ નિર્ણાયક તરીકે પ્રા. ડૉ. પ્રતીક ટેલર, અમરસિંહભાઈ વસાવા, સુરેશભાઈ વસાવા, પ્રિયંકાબેન નાયક, રસિકાબેન, ભાવનાબેન, દક્ષાબેન, પ્રા. શ્વેતાબેન, સુરેશભાઈ ગામીત અને પ્રા. રંગજીભાઈ ગામીત સહિતના અધ્યાપકોએ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી.
કાર્યક્રમની સફળતા બાદ કોલેજના આચાર્યએ તમામ વિજેતા તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે જ સમગ્ર કોલેજ સ્ટાફ પરિવારને કાર્યક્રમના સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.
