ભરૂચ : વિવિધ ક્ષેત્રોમાં ફરજ બજાવતા શ્રમિકો અને કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા કલેક્ટર મારફતે ગુજરાત સરકારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં શ્રમિકો કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.
આશા વર્કર અને આશા ફેસિલિટેટર બહેનોનું કામ કાયમી પ્રકારનું હોવાથી તેમને આરોગ્ય વિભાગમાં કાયમી કરવાની માંગ કરવામાં આવી હતી. સાથે લઘુતમ વેતન આપવા, ઓનલાઈન કામગીરી માટે જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવા તેમજ તાત્કાલિક રૂ. 5 હજારનો સ્માર્ટફોન આપવાની માંગ કરાઈ હતી.
આંગણવાડી કર્મચારીઓના પ્રશ્નો પણ ઉઠાવાયા
આંગણવાડી કર્મચારીઓને લઘુતમ વેતન, દર વર્ષે 10 ટકા પગાર વધારો, પ્રમોશન તેમજ ખાલી જગ્યાઓ ભરવાની માંગ કરવામાં આવી હતી. આંગણવાડીની કામગીરી સિવાય અન્ય કોઈ કામગીરી કર્મચારીઓ પાસે ન કરાવવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.
મધ્યાહન ભોજનના કર્મચારીઓને રૂ.30 હજાર વેતનની માંગ
મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓને ‘શાળા પોષણ સહાયક’ તરીકે જાહેર કરી લઘુતમ વેતન સહિતના લાભો આપવા તથા માસિક રૂ.30 હજાર લઘુતમ વેતન ચૂકવવાની માંગ કરાઈ હતી. અકસ્માતમાં કર્મચારીના પરિવારને મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ રૂ.4 લાખની સહાય, 62 વર્ષની ઉંમરે નિવૃત્તિ અને સામાજિક સુરક્ષાની સુવિધા આપવા પણ રજૂઆત થઈ હતી. દરેક શાળાના રસોઈ શેડમાં હાઈજેનિક કીટ ઉપલબ્ધ કરાવવાની માંગ પણ કરવામાં આવી હતી.
બાંધકામ બોર્ડમાં કાયમી સ્ટાફની ભરતીની માંગ
બાંધકામ શ્રમિકોના પ્રશ્નોમાં બાંધકામ બોર્ડમાં કાયમી સ્ટાફની ભરતી કરવા અને કોન્ટ્રાક્ટ આધારિત ભરતી બંધ કરવાની માંગ મુખ્ય રહી હતી. બાંધકામના નામે વસૂલવામાં આવતી સેસની રકમ બાંધકામ બોર્ડના ખાતામાં જ જમા કરાવવા તેમજ બોર્ડમાં શ્રમિકોના પ્રતિનિધિઓની સમયસર નિમણૂક કરવાની માંગ કરવામાં આવી હતી.
કોન્ટ્રાક્ટ કર્મચારીઓના નિયમિતીકરણની માંગ
રાજ્ય સરકાર, બોર્ડ, કોર્પોરેશન અને નિગમોમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓ માટે પાંચ વર્ષના બદલે બે વર્ષની સેવા પૂર્ણ થયા બાદ નિયમિતીકરણની પ્રક્રિયા હાથ ધરવાની માંગ પણ આવેદનપત્રમાં કરવામાં આવી હતી.
ભારતીય મજદૂર સંઘે શ્રમિકોના વિવિધ પ્રશ્નો અંગે રાજ્ય સરકાર તાત્કાલિક યોગ્ય નિર્ણય લઈ પ્રશ્નોનું નિરાકરણ લાવે તેવી માંગ કરી હતી.
