ભરૂચ: દસ દિવસ સુધી ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે દશામાંની આરાધના કર્યા બાદ ભરૂચમાં માતાજીની પ્રતિમાનું ભાવભેર વિસર્જન કરવામાં આવ્યું હતું. ઝાડેશ્વર નર્મદા ઘાટ ખાતે ‘જય દશામાં’ના નાદ સાથે ભક્તોએ માતાજીને ભાવભીની વિદાય આપી હતી.
દશામાંના દસ દિવસીય ઉત્સવ દરમિયાન ભક્તો દ્વારા માતાજીની નિયમિત પૂજા-અર્ચના, આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. દસ દિવસના ભક્તિભાવ બાદ વિસર્જન પ્રસંગે ભક્તોએ માતાજીની અંતિમ આરતી ઉતારી હતી અને પરિવારની સુખ-શાંતિ, સમૃદ્ધિ તથા સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
ઝાડેશ્વર નર્મદા પાર્કના ઘાટ ખાતે દશામાંની પ્રતિમા વિસર્જન માટે વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ભક્તો દ્વારા ઢોલ-નગારાના તાલ અને ‘જય દશામાં’ના ગગનભેદી નાદ સાથે માતાજીની પ્રતિમાને વિસર્જન સ્થળ સુધી લઈ જવાઈ હતી. સમગ્ર ઘાટ પર ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
વિસર્જન દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. માતાજીની પ્રતિમાનું વિસર્જન થતાં ભક્તોએ ભારે હૈયે દશામાંને વિદાય આપી હતી. દસ દિવસ સુધી ચાલેલી ભક્તિ બાદ ‘આવતા વર્ષે વહેલા આવજો મા’ના ભાવ સાથે ભક્તોએ માતાજીને વિદાય આપી હતી.
