ભરૂચ: ભરૂચના સિદ્ધનાથનગર વિસ્તારમાં આવેલા અંબિકાધામ અંબાજી માતાના મંદિરમાં તસ્કરીની ઘટના સામે આવતા ચકચાર મચી છે. મધરાતના સમયે અજાણ્યો તસ્કર મંદિરના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ્યો હતો અને દાનપેટીનું લોક તોડી તેમાં રહેલી અંદાજે રૂ.12 હજારની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના મંદિરના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે.
ફરિયાદ મુજબ, સિદ્ધનાથનગરમાં રહેતા અને વ્યવસાયે વકીલ ધર્મેન્દ્રસિંહ કલ્યાણસિંહ યાદવ છેલ્લા ચાર વર્ષથી સોસાયટીના અંબિકાધામ મંદિરના વહીવટકર્તા તરીકે કામગીરી સંભાળે છે. તા.17 ઓગસ્ટના રોજ સવારે મંદિરની પૂજા કરવા ગયેલા ઇલાબેન સુરેશભાઈ ગૌસ્વામીએ મંદિરમા ચોરી થયાની જાણ કરતાં ધર્મેન્દ્રસિંહ યાદવ તાત્કાલિક મંદિરે પહોંચ્યા હતા.
તપાસ કરતાં મંદિરની જમણી બાજુના દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. ગર્ભગૃહની બહાર આવેલી દાનપેટીનું લોક પણ તૂટેલી હાલતમાં હતું અને દાનપેટી ખોલીને જોતા તેમાં રહેલી રોકડ ગાયબ હતી. સોસાયટીના યુવાનો દ્વારા સામાન્ય રીતે દર મહીનાની પહેલી તારીખે દાનપેટી ખોલવામાં આવે છે અને સરેરાશ રૂ.20 હજાર જેટલું દાન એકત્રિત થાય છે. આ વખતે 17 દિવસનું દાન હોવાથી અંદાજે રૂ.12 હજારની રોકડ દાનપેટીમાં હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
મંદિરમાં લગાવવામાં આવેલા CCTV ફૂટેજ તપાસતા તા.17 ઓગસ્ટના રોજ રાત્રે આશરે 2 વાગ્યે એક અજાણ્યો ઇસમ મંદિર પરિસરમાં પ્રવેશતો દેખાયો હતો. CCTVમાં આરોપીએ લીલા રંગનું આખી બાંયનું ટી-શર્ટ અને નાઇટપેન્ટ પહેરેલી હોવાનું જણાય છે.
મંદિરનું ટ્રસ્ટ હાલ કાર્યરત ન હોવાથી સોસાયટીના યુવાનો મંદિરની દેખરેખ રાખે છે. અન્ય કોઈ ચીજવસ્તુની ચોરી થઈ છે કે કેમ તેની તપાસ કર્યા બાદ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે અજાણ્યા તસ્કરની શોધખોળ હાથ ધરી છે.
